ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Election) પૂર્વે આમ આદમી પાર્ટીના(AAP) નેતાઓ શિક્ષણ સહિતના મુદ્દે સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ( Harsh Sanghvi) આપનું નામ લીધા વગર પલટવાર કર્યો છે.. હર્ષ સંઘવીએ કહ્યું કે ભાજપ અને ગુજરાતીઓનો સંબંધ એક સિક્કાની બે બાજુ સમાન છે. દેશ-દુનિયામાં પ્રગતિ, વિકાસ અને રોજગારી આપવામાં ગુજરાતીઓ અવ્વલ છે. ગુજરાતના સમજદાર નાગરિકો સંબંધો નિભાવવામાં માહેર છે. ભાજપનો અને ગુજરાતીઓનો સર્વશ્રેષ્ઠ સંબંધ આગળ વધારે ગાઢ બનશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પક્ષ પ્રચાર અને પ્રસારના મોડમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક ક્ષેત્રના મતદારો સુધી પહોંચી વળવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. કેન્દ્રીય નેતાઓ પણ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હવે દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 6 જુને અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે.
અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઇને આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સુરત ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે માહિતી આપી હતી કે, છઠ્ઠી જુનના રોજ બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચશે અને ત્યાંથી મહેસાણા ખાતે તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં ભાગ લેશે.