સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ રહે છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે સુરત મહાનગરપાલિકાએ ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે રસ્તા પરના દબાણો દુર કરવાની કામગીરી શરુ કરી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના 35 માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં આ કામગીરી શરુ કરવામાં આવી છે.
સુરત મનપાએ ટીપી રસ્તા ખુલ્લા કરવા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે. મનપા કમિશનરે 35 રસ્તાઓને પહોળા કરવા ઝૂંબેશ શરૂ કરી છે. બે દિવસમાં 25 રસ્તા પર ડિમોલીશન હાથ ધરાયું છે. રસ્તાની આજુબાજુ કુલ 61 હજાર ચોમી જમીનને ખુલ્લી કરી પાલિકાએ કબજો મળવ્યો છે. કતારગામ, વરાછા, સરથાણા, લિંબાયત, ઉધના, અઠવા અને રાંદેર વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું છે. તો નાના વરાછામાં સીમાડા જંકશન પાસેની નટવરનગરની 23 મિલકતોને 10 વર્ષે તોડી પડાઈ છે.
રસ્તાની આસપાસમાં આવતી જગ્યા રાજકારણીઓના દબાણને ઘોંચમાં પડી હતી. પરંતુ મનપા કમિશનરે કડકાઈ દાખવી રસ્તા પરની આ જમીનો ખુલ્લી કરાવી સપાટો બોલવ્યો હતો. આ કાર્યવાહી માટે પાલિકાના 51 ઈજનેરોને કાર્યવાહીમાં જોતરાયા છે. મહત્વનું છે કે, આ રોડ ખુલ્લા થતાં પાકા રસ્તા બનાવાશે. જેથી મુખ્ય રસ્તા સાથે કનેક્ટિવિટી મળશે. સાથો સાથ પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ, ડિવાઇડર, ગ્રીન એરિયા જેવી અન્ય સુવિદ્યાઓ પણ મળશે.