સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની મુશ્કેલી વધી છે. તંત્રના વાંકે અગરિયાઓના પાટામાં નર્મદાનું પાણી ફરી વળતા રણ બેટમાં ફેરવાયુ છે. જેને કારણે અગરિયાઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નર્મદા કેનાલનું લાખો ક્યુસેક પાણી છોડાતા રણમાં પાણી ફરી વળ્યુ છે. અગરિયાઓના પાટા ધોવાયા છે. રણમાં જવા માટે હોડકાનો સહરો લેવો પડી રહ્યો છે. એટલું જ નહીં શાળામાં પણ પાણી ભરાયા છે. જેને લઇ બાળકો છાપરામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
રણમાં પાણી ભરાયેલું હોવાથી પીવાના પાણીનું ટેન્કર બંધ થયું છે. લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યાં છે.આરોગ્યની સેવાઓ પ્રભાવિત થઇ છે. લોકોને યોગ્ય સારવાર પણ નથી મળી રહી. અગરિયાનું કહેવું છે કે તેમના પાટામાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. જો સરકાર મદદ નહીં કરે તો ખાવાના પણ ફાંફા પડશે.
Published On - 9:50 am, Wed, 18 January 23