આપના (AAP ) સંયોજક તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Maan) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થયા હતા તે અંતર્ગત પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન એક કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રીમાં (Navratri 2022) ચારે તરફ ગરબાની રમઝટ જામી છે ત્યારે બંગાળમાં પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગરબા કર્યા હતા તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પણ એક કાર્યક્રમમાં ગરબા રમતા જોવા મળ્યા હતા. ગુજરાતી ગરબાની લોકપ્રિયતા એટલી છે કે ભાગ્યે જ નવરાત્રિમાં લોકો ગરબા રમવાની મજા માણ્યા વિનાના રહેતા હશે.
આ ગરબાનું આયોજન ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગરબા કાર્યક્રમમાં ભગવંત માને ગરબા તેમજ ભાગંડા કર્યા હતા. તેમણે ગરબા અને ભાગંડા કરતા જનમેદની તેમને ચિચિયારી કરીને વધાવી લીધા હતા . તો દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રાજકોટમાં ખોડલધામ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી.
તો બીજી તરફ અમદાવાદમાં બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધૂ પણ ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. પી.વી સિંધૂ સંપૂર્ણ ગુજરાતી પારંપરિક ચણિયાચોળી પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને ખેલૈયાઓ સાથે ગરબા રમવાની મજા માણી હતી. તો જામનગરમાં ફિલ્મ અભિનેતા શર્મન જોષીએ પણ ગરબા રમવાનો આનંદ માણ્યો હતો.