Rajkot: નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો, રાજકોટની આ મહિલાઓનું ગ્રૂપ ગરબાઓમાં કરશે તલવાર રાસની જમાવટ- Video

Rajkot: શક્તિ અને ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીના નવ દિવસ દરમિયાન દરમિયાન ગરબા અને રાસ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. હાલ અર્વાચીન ગરબાનું ચલણ વધ્યુ છે તો પ્રાચીન ગરબાનું મહત્વ પણ જરાપણ ઓછુ થયુ નથી. આવા જ રાજકોટના એક શ્રી શક્તિ તલવારબાજી ગ્રૂપે તેમની પ્રાચીન પરંપરાને જીવિત રાખી છે.

| Edited By: | Updated on: Oct 08, 2023 | 4:27 PM

Rajkot: ગુજરાતમાં સૌથી લોકપ્રિય તહેવાર એવા નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રીનું આખા દેશમાં સૌથી વધુ મહત્વ ગુજરાતમાં છે.રાજ્યમાં 9 દિવસ બાળકો, યુવાનો અને વૃદ્ધો તમામ લોકો નવલા નોરતાના રંગે રંગાઈ જતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી અર્વાચીન ગરબાઓનું ચલણ પણ ખૂબ વધ્યું છે જેમાં લોકો પોતે પોતે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે ઘૂમે છે. ત્યારે અર્વાચીન ગરબાઓનું ચલણ વધ્યું છે પરંતુ આપણા પ્રાચીન ગરબાઓ અને પ્રાચીન રાસનું મહત્વ બિલકુલ ઘટયું નથી. હજુ પણ અનેક લોકોએ આપણી આ પરંપરા જાળવી રહી છે.તેમાંથી એક છે ‘તલવાર રાસ’. તલવાર રાસ એ આપણી પ્રાચીન પરંપરા સાથે જોડાયેલો છે. રાજકોટનું આવું જ એક ગ્રુપ છે “શ્રી શક્તિ તલવારબાજી ગ્રૂપ” જેમણે આપણી આ પ્રાચીન પરંપરાને જીવિત રાખી છે.

40 યુવતીઓનું ગ્રુપ અલગ અલગ ગરબા આયોજનોમાં આપશે પરફોર્મન્સ

શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ આવનારી નવરાત્રીમાં અલગ અલગ પ્રાચીન અને અર્વાચીન ગરબા આયોજનોમાં પોતાનું પરફોર્મન્સ આપશે. તલવાર રાસમાં 14 જેટલા અલગ અલગ રાસ અને સ્ટેપ્સ તેઓએ તૈયાર કર્યા છે. ત્યારે tv9ની ટીમે પણ આ ગ્રૂપની પ્રેક્ટિસ સેશન દરમિયાન મુલાકાત લીધી હતી. આ ગ્રૂપની મહિલાઓનો તલવાર રાસ જોઈને હાજર સૌ કોઈ લોકો અભિભૂત થઈ જાય છે અને આ તલવાર રાસના ગ્રૂપની યુવતીઓના અમુક સ્ટેપ્સ જોઈને તો એવી અનુભૂતિ થાય કે સાક્ષાત માતાજી પોતે તલવાર રાસ રમી રહ્યા છે.આ ગ્રુપ સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ છે.

સ્વર્ગસ્થ પિતાનું સ્વપ્ન પુરું કરવા તલવાર બાજી શીખ્યા અને અનેક દીકરીઓને શીખવ્યું

રાજકોટના “શ્રી શક્તિ તલવારબાજી ગ્રુપ”માં 40 જેટલી યુવતીઓ તલવાર રાસ કરે છે.જેના સંચાલક પ્રિયંકા રાઠોડ છે. માત્ર 35 વર્ષની ઉંમરે પ્રિયંકા રાઠોડ અત્યારસુધીમાં 200 જેટલી યુવતીઓને તલવાર રાસની અને તલવાર બાજુની ટ્રેનિંગ આપી ચૂક્યા છે. પ્રિયંકા રાઠોડને જ્યારે તેમના આ અલગ શોખ વિશે tv9 સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે તેમને આ પરંપરા તેમના દાદાબાપુ ગગજીભાઈ હેરમાં તરફથી મળી છે. તેમના દાદાબાપુ રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાની ખુબ જ નજીકના મિત્ર હતા.

આ ઉપરાંત તેમના પિતાજી જયરાજબાપુ હેરમાં તેઓ માત્ર 7 વર્ષની ઉંમરના હતા ત્યારે અવસાન પામ્યા હતા અને તેઓની ઈચ્છા હતી કે તેમની દીકરી રાજપૂતોની શાન ગણાતી તલવાર બાજી શીખે અને અન્ય યુવતીઓને પણ શીખવે. તેમના સ્વ પિતાની ઈચ્છા પૂરી કરવા પ્રિયંકાબેન તેમના દાદાબાપુ પાસેથી તલવારબાજી શીખ્યા અને અત્યારસુધીમાં તેઓએ 200 જેટલી દીકરીઓ – મહિલાઓને તલવારબાજી અને તલવાર રાસ પણ શીખવી ચૂક્યા છે અને આગળ જતાં સતત તેઓ આ પ્રવૃત્તિ ચાલુ રાખવા માગે છે કારણ કે તેઓનું માનવું છે કે દીકરીઓને શિક્ષણ અને ઈતર પ્રવૃત્તિ સાથે સાથે આત્મરક્ષણનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે.

આ પણ વાંચો: Ahmedabad: નવરાત્રીને લઈ ખેલૈયાઓ સજ્જ, ટ્રેડિશનલ ડ્રેસ સાથે 3 કિલોની ખાસ પાઘડી મચાવશે ધૂમ, જુઓ Photo

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Published On - 4:18 pm, Sun, 8 October 23