રાજ્યમાં મેઘરાજાએ ફરીથી જમાવટ કરી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી અનુસાર ગુજરાતમાં (Gujarat) વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ (Rain) વરસ્યો છે. તો છેલ્લા 62 તાલુકામાં એક ઇંચથી લઇને 8 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના બારડોલીમાં પણ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના વાંસદામાં છ ઇંચ, ખેરગામમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. ડાંગ જિલ્લાના વઘઇમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, ધમપુર અને કપરાડામાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલી અને ગણદેવીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 115.82 ટકા વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ કચ્છમાં 185.13 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 120.83 ટકા વરસાદ ખાબક્યો છે. પૂર્વ મધ્યમાં 92.66 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 107.81 ટકા વરસાદ ખાબક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 124. 88 ટકા વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં આ વર્ષે સારો એવો વરસાદ વરસતા જળ સંકટ દુર થયુ છે. કારણકે વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પણ પાણીની સારી એવી આવક થઇ છે. જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ધોધમાર વરસાદના કારણે હવે ગુજરાતમાં પાણીની ચિંતા દૂર થઈ છે. રાજ્યના જળાશયોમાં પાણીની ધમધોકાર આવક થઇ છે. જેને કારણે ખેડૂતો સારી રીતે પાક લઈ શકશે. શિયાળુ પાકમાં પણ ફાયદો થશે, તો લોકોને પણ પાણી માટે વલખા મારવા નહીં પડે. ડેમની વાત કરીએ તો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 138.68 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. તો ભાદર અને કડાણા ડેમમાં પણ ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીર આવ્યા છે. જામનગરના ઊંડ-2, ધરોઇ અને ઉકાઇ ડેમમાં પણ સારા પ્રમાણમાં પાણી ભરાયું છે. તો કાળુભાર ડેમ અને ધાતરવાડી ડેમ પણ ઓવરફ્લો થયા છે. જે બતાવે છે કે ગુજરાતને જળની ચિંતા હવે નહીં સતાવે.