સંસારની મોહ-માયા ત્યજી વૈરાગ્યની વાટે પકડનારા કુલ 58 પાર્ષદી સાધકો ભાગવતી દીક્ષા લીધી.. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી નગરમાં કુલ ૫૮ નવયુવાનોએ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રાપ્ત કરી. જેમાં 6 અનુસ્નાતક, 46 સ્નાતક, 26 ઇજનેર, 1 આર્કિટેક્ટ, 2 MBA સહિત કુલ 58 પાર્ષદોએ ભાગવતી દીક્ષા લીધી. જેમાં અમેરિકાના ૫, મુંબઈના 7 અને ગુજરાતના 46 પાર્ષદોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એવા અનેક પરિવારો હતા જેમાં એકના એક દીકરા એ દીક્ષા લીધી.
સાધુ પરંપરામાં આજે અનેક લોકોએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની આંખોમાં નિર્મળતા, નિશ્ચલતા, નિઃસ્પૃહતા અનુભવી છે. 2001 ની સાલમાં અબ્દુલ કલામ સાહેબ મળ્યા હતા ત્યારે ખૂબ જ અભિભૂત થયા હતા અને તેમના પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં કહ્યું છે કે, ‘પ્રમુખસ્વામીમાંથી દિવ્યતાનો સાગર વહેતો હતો.
અનેક યુવકો આજે પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંતસ્વામી મહારાજની દિવ્યતા અને ગુણોથી આકર્ષાઈને ત્યાગશ્રમમાં જોડાવા તૈયાર થઈ જાય છે કારણકે તેમના સાંનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન 1000 જેટલા યુવકોને દીક્ષા આપી, જેમાં જેમાં 10 ડોક્ટર, 12 એમ બી એ, 70 માસ્ટર ડિગ્રી, 200 એન્જિનિયર અને કુલ સંતોમાંથી 70 ટકા થી વધુ સંતો ગ્રેજ્યુએટ છે. આજે ૫૫ સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને 70 સંતો અમેરિકાના નાગરિક છે.
BAPS ના વરિષ્ઠ સદ્ગુરુ સંત પૂજ્ય ડૉક્ટર સ્વામીએ જણાવ્યું કે, “ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે, ‘ભગવાનને ભજવા એથી મોટી બીજી કોઈ વાત નથી ‘ અને આજે આ યુવકો બધા લોકોને ભગવાન ભજવવાના પથ પર જઈ રહ્યા છે. ત્યાગનો માર્ગ એ ઉત્તમ માર્ગ છે. ભગવાન સ્વામિનારાયણે તેમના જીવનકાળ દરમ્યાન 3000 જેટલા નિયમધર્મયુક્ત પરમહંસોને દીક્ષા આપી હતી અને આજે તે જ પરંપરામાં આજે સૌ દીક્ષા લઇ રહ્યા છે. આજે આ સંસ્થાના મોટાભાગના સંતો મહિનામાં ૫ નિર્જળા ઉપવાસ કરી રહ્યા છે તેવા ત્યાગી અને તપસ્વી સંતો પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે તૈયાર કર્યા છે.”
“આ બધા દીક્ષાર્થી સાધુઓને ધન્યવાદ આપવામાં આવે છે કારણકે જગતથી તૂટીને ભગવાનમાં જોડાવું તે મોટી વાત છે, પરંતુ તમે તે કરી બતાવ્યું છે. આપના માતાપિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે કારણકે તેઓએ તેમનું હૃદય આપ્યું છે આજે. આપ સૌ શૂરવીર છો, નિયમ પાલનમાં દૃઢ રાખવા.”
Published On - 7:25 pm, Tue, 10 January 23