અમદાવાદના ઓગણજમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશમાંથી હજારો લોકો આવી રહ્યા છે. ધર્મ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બનેલા પ્રમુખ સ્વામી મહોત્સવમાં પર્યાવરણના જતનનો પણ સંદેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વ આજે પ્લાસ્ટિકની સમસ્યાથી પીડાઇ રહ્યું છે, ત્યારે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં વેસ્ટમાંથી બેસ્ટના સ્ટોલે આકર્ષણ જમાવ્યું છે. અહીં વેસ્ટ પ્લાસ્ટિકને પ્રોસેસ કરીને તેમાંથી બનાવાયેલી વસ્તુઓને પ્રદશિત કરવામાં આવી છે. માત્ર પ્લાસ્ટિક જ નહીં પરંતુ બિલ્ડિંગ વેસ્ટ અને ફૂડ વેસ્ટને ફરી વપરાશ લાયક બનાવવાની પણ માહિતી આપવામાં આવી રહી છે.
પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે છતા પણ જેમા ચાલે તેમ ન હોય તેવા પ્લાસ્ટિકને પણ ક્રશ કરીને તેમાંથી વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમા પ્લાસ્ટિકની બોટલોનો રિયુઝ કઈ રીતે થાય તેના પર ધ્યાન અપાય છે. પ્લાસ્ટિકની વપરાયેલી પાણીની બોટલમાંથી કચરાપેટી બનાવવામાં આવી છે. પ્લાસ્ટિકને ક્રશ કરી તેમા જરૂરી ઘટકો અને કમ્પોઝિટ મટિરીયલ એડ કરી તેમાંથી બેન્ચિસ પણ બનાવવામાં આવી છે.
બિલ્ડિંગ મટિરિયલના વેસ્ટમાંથી પણ ઘણી વસ્તુઓ બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગ મટિરીયલને ક્રશ કરી તેને 20mmમાં કટ કરી તેમા રેતી મિક્સ કરી તેના પેવર બ્લોક્સ, પ્લાન્ટેશનના કુંડા, તેમજ બેસવાની બેન્ચ પણ બનાવવામાં આવી છે. કોઈપણ વસ્તુનો બગાડ થતો અટકાવવામાં આવે છે અને વેસ્ટમાંથી બેસ્ટના સૂત્રને અનુસરવામાં આવે છે.
ફુડવેસ્ટમાંથી પણ સેન્દ્રીય ખાતર તૈયાર કરવામાં આવે છે. જેમા શાકભાજીમાંથી નીકળતા કચરાને ગૌશાળામાં મોકલવામાં આવે છે. તેમજ વધેલા ફુડમાં લાકડાનો ભુકો મિક્સ કરી મશીનમાં ક્રશ કરી તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવે છે. આ ખાતરને પ્લાન્ટેશનમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ