પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં કાયમી સ્ટાફની અછત હોવાથી કેટલાક કામ અટકી પડે છે. 65 ટકા સ્ટાફની અછતનો કૉંગ્રેસનો આક્ષેપ છે. 35 ટકા સ્ટાફથી કામ ચલાવવામાં આવે છે. અનેક વખત મુશ્કેલી દૂર કરવા આઉટસોર્સિંગથી પાલિકાનું તંત્ર ચાલે છે, ત્યારે ભરતીને લઈને સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે. પોરબંદર, રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. જ્યાં દેશ વિદેશના નેતા અને પર્યટકો શહેરની મુલાકાત લેતા હોય છે. શહેરની ભવ્યતા સામે કોઈ સવાલ નથી, કેમ કે ગાંધીજીનું નામ તેની સાથે જોડાયેલું છે. જોકે સ્થાનિકોના પ્રશ્નોના ઉકેલ બાબતે સ્ટાફની અછતની સમસ્યા સર્જાય છે તેવો વિપક્ષ તથા સ્થાનિકોનો આક્ષેપ છે.
સ્થાનિક નગરપાલિકાને જાણે કે કોઈ ખાસ ચિંતા હોય તેમ લાગતું નથી. કેમ કે શહેરના કેટલાક કામ અટકી પડે છે, તેની પાછળ કારણ છે નગરપાલિકા પાસે અપૂરતો સ્ટાફ છે, જેના લીધે સ્થાનિક લોકો અને પર્યટકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ મુદ્દે કૉંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે તો બીજી તરફ પાલિકા સત્તાધીશોએ તો અવારનવાર કમિટીમાં કર્મચારીઓની ભરતી માટે દરખાસ્ત કરી, પરંતુ હાલની કમિટી કર્મચારીઓને લેવામાં ક્યાં કારણે આળસ મરડે છે તે સવાલ ચોક્કસ ઉભો થઇ રહ્યો છે.
હાલ કુલ 737 જગ્યાઓ છે, જેમાંથી હાલ 264 જગ્યા ભરેલી છે અને 473 જગ્યા ખાલી છે.ત્યારે ગાંધીજીની નગરીમાં રહેતા નાગરિકો માટે પર્યટકો અને વિદેશી નેતાઓ આવે તે સમયે પાલિકાની કામગીરી ઉઘાડી ન પડી જાય તે માટે તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તે જરૂરી છે.