પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત (pacnhmahal) યાત્રાધામ પાવાગઢના (Pavagadh) માંચી નજીક વળાંકમાં મુસાફરો ભરેલી મીની બસ પલટી જતાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે 15થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની વાત કરીએ તો 20 મુસાફરો ભરેલી મીની બસ પાવાગઢ માચીથી નીચે ઉતરી રહી હતી, ત્યારે પલટી ગઈ હતી. જેમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પાવાગઢ દર્શનાર્થે આવેલા વડોદરાના (Vadodara) ભકતોની મિનિ બસને માંચીથી ઉતરતા અકસ્માત સર્જાયો હતો. વડોદરા જિલ્લાના તરસાલીમાં રહેતો પરિવાર 20થી વધુ લોકો સાથે મિનિબસ લઈ પાવાગઢ દર્શનાર્થે પહોંચ્યા હતા. તેઓ બપોર પછી દર્શન કરી પરત ફરતા સમયે માંચીથી નીચે બાવામન મસ્જિદ પાસે તેઓની મિનિ બસ પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. ભક્તોની બસ પલ્ટી ખાઈ જતાં દોડધામ મચી જવા પામી હતી.
અકસ્માત બાદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘવાયેલા ભક્તજનોને મિનિ બસમાંથી બહાર કાઢી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતના સ્થળે એક મહિલાનું મોત નીપજ્યું હતું અને 15 જેટલા ઈજાગ્રસ્ત ભક્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, બે ભક્તોને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.