ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો (Monsoon 2022) સારો એવો વરસાદ વરસ્યો છે. ગુજરાત આસપાસના રાજ્યોમાં પણ વરસાદી (Rain) માહોલ છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે ચાલુ સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 5 દરવાજા 30 સેન્ટિમીટર ખોલવામાં આવ્યા છે. હાલ અંદાજે 20 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ વરસાદી માહોલ અને સરદાર સરોવર ડેમ પાસે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં અદભૂત માહોલ જોવા મળી રહ્યો છે.
વરસાદી માહોલ વચ્ચે નર્મદા જિલ્લામાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાતપુડા અને વિંદ્યાચલની ગિરીકન્દ્રા વચ્ચે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. શુક્રવારે સમી સાંજે વરસાદના વિરામ બાદ અચાનક સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય દેખાતા પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા સર્જાયુ હતુ. બે દિવસ બાદ સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારીઓમાં દેશ વાસીઓ વ્યસ્ત છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ વચ્ચે મેઘધનુષ દેખાતા ત્રિરંગો લહેરાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર મેઘધનુષ્ય દેખાતા પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.
વરસાદી માહોલ વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો છે. નર્મદા ડેમમાં પાણીના પ્રવાહ અને વરસાદી માહોલ વચ્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું વાતાવરણ સહેલાણીઓને આકર્ષે તેવુ બન્યુ છે. સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સહેલાણીઓને માણવા માટે અનેક આકર્ષણો છે. જેને લઇને પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે.