સુરેન્દ્રનગરના (Surendranagar) મૂળીના સડલા ગામના પોલીસ (Surendranagar Police) પૂછપરછ દરમિયાન મોતનો મામલો ગરમાયો છે. પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન યુવકના પિતા દેવજી બાવળિયાનું મોત થયું. હાલ મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. મૃતકોના પરિવારજનો હાલ રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલ બહાર ધરણા પર બેઠા છે. કુંવરજી બાવળીયા સહિત કોળી સમાજના આગેવાનો પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે.
તમને જણાવી દઈએ કે મૃતકોના પરિવારજનો અને આગેવાનોને સમજાવવા માટે પોલીસ અધિકારીઓ વાત-ચીત કરી રહ્યા છે. જ્યારે પરિવારે આ મામલે યોગ્ય તપાસ કરવા અંગે જણાવ્યુ છે. ઉપરાંત કુંવરજી બાવળિયા પણ આ મામલે શહેર પોલીસ વડાને મળશે. રાજકોટ જિલ્લામાં પણ ગઈ કાલે આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. ધોરાજીના સુપેડી ગામના કાંતિભાઈ સોલંકી નામના વ્યકિતનું પોલીસ રેડ દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોએ હાલ મૃતદેહ સ્વીકારવા ઈનકાર કર્યો હતો. જો કે પોલીસ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.