Vadodara: કાળઝાળ ગરમીમાં ડભોઇના તળાવો સુકાયા, 86 તળાવમાંથી 7માં માત્ર 20 ટકા પાણી, 27 ગામના ખેડૂતો ચિંતામાં મુકાયા

|

May 06, 2022 | 9:42 AM

વડોદરાના (Vadodara) ડભોઈ તાલુકામાં તો તળાવો જ સુકાઈને મેદાન થઈ ગયા છે. આ સંજોગોમાં ખેડૂતોમાં (Farmers) સિંચાઈ કે પશુઓને પાણી કેમ પીવડાવશે એ સૌથી મોટી ચિંતા છે.

વડોદરાના (Vadodara) ડભોઇ તાલુકામાં આવેલ 118 ગામમાં મોટા ભાગે ખેડૂતો (Farmers) અને પશુપાલકો વસવાટ કરે છે. હાલ ઉનાળામાં (Summer 2022) અહીં 42 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાનનો પારો રહ્યા કરે છે. ગરમીની અસર એવી છે કે તેમાં પાણીની જરૂરિયાત વધી જાય છે. જોકે વડોદરાના ડભોઈ તાલુકામાં તો તળાવો જ સુકાઈને મેદાન થઈ ગયા છે. આ સંજોગોમાં ખેડૂતોમાં સિંચાઈ કે પશુઓને પાણી કેમ પીવડાવશે એ સૌથી મોટી ચિંતા છે.

વડોદરાના ડભોઈ તાલુકામાં કાળઝાળ ગરમીમાં મોટાભાગના તળાવો સૂકાભઠ્ઠ બની ગયા છે. જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તાલુકાના 118 ગામના 86 તળાવમાંથી માત્ર 7 તળાવમાં માત્ર 20 ટકા પાણી હોવાથી તળાવ જાણે ક્રિકેટ મેદાન બની ગયું છે. ખેડૂતોને સૌથી મોટી ચિંતા એ વાતની છે કે સિંચાઈનું પાણી ન મળતા તેમનો પાક સુકાઈ રહ્યો છે. વર્લ્ડ હેરિટેજમાં આવતાં બે મોટા તળાવની વાત કરીએ તો તેન તળાવ અને વઢવાણા તળાવના પણ તળિયા દેખાઈ ગયા છે. જેને કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

બીજી તરફ તાલુકાનું ઐતિહાસીક અને હજારો એકરમાં ફેલાયેલું વડોદરા જીલ્લાનું સૌથી મોટું વઢવાણા તળાવ કે જે પક્ષીધામ તરીકે પણ પ્રખ્યાત છે, તેના પણ તળિયા દેખાવા લાગ્યા છે. અહીં માત્ર 10 ટકા જ પાણી બચ્યું છે. આ તળાવ સંખેડા ડભોઇ તાલુકાના 20 જેટલા ગામોની જમીનને ખેતી લાયક સિંચાઇનું પાણી પૂરું પાડે છે. જેને નર્મદા નદીના પાણીથી કેનાલ મારફત ભરી શકાય એમ છે. તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી નહીં કરતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. જો આ તળાવ ભરાય તો ખેડૂતોને પાણી માટે દૂર દૂર ભટકવાની તકલીફોમાંથી મુક્તિ મળે.

મોટાભાગના તળાવો સુકાભઠ્ઠ બનતા પશુપાલકો પરેશાન છે. ઉનાળુ પાકને સિઝનના છેલ્લા ભાગનું પાણી નહીં મળતાં ઘાસચારા ઉપરાંત મકાઈ, બાજરી સહિતનો પાક સુકાવાના આરે છે. આ જોતાં તળાવો નહીં ભરાય અને ચોમાસું પણ મોડું થયું તો ખેડૂતો અને પશુપાલકોની સ્થિતિ શું થશે એની કલ્પના કરવી મુશ્કેલ છે.

Next Video