દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની (Janmashtami) ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકા અને શામળાજીની અને ડાકોરમાં (Dakor) જન્માષ્ટમીના પર્વ પર મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું (Devotees) ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. ડાકોરમાં વહેલી સવારથી જ મંદિર ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’ નાદથી ગુંજી ઉઠ્યુ છે. ડાકોર મંદિરને જન્માષ્ટમી નિમિત્તે સજાવવામાં આવ્યુ છે. કૃષ્ણ જન્મને વધાવવા ભક્તોમાં આતુરતા જોવા મળી રહી છે.
ડાકોરમાં આજે જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ડાકોરના ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. ગોમતી ઘાટ અને રણછોડરાય મંદિર “જય રણછોડ. માખણચોર”ના નાદથી ગુંજી ઉઠ્યું છે. જગતના નાથના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ડાકોર મંદિરના આજના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 6:30 કલાકે નીજ મંદિર ખોલવામાં આવ્યું હતું અને સવારે 6:45 કલાકે મંગળા આરતી ઉતારવામાં આવી હતી. નિત્યક્રમ અનુસાર ઠાકોરજીને ભોગ પ્રસાદ કરવામાં આવ્યો અને સેવા પૂજા કરવામાં આવી. બપોરે 1 કલાકે ઠાકોરજી પોઢી જશે. એક વાગ્યા બાદ ભક્તો માટે દર્શન તથા મંદિર પ્રવેશ બંધ રહેશે.
Visuals of #KrishnaJanmashtami being celebrated in Dakor#Kheda #Gujarat #TV9News pic.twitter.com/f4hUzLuEFU
— Tv9 Gujarati (@tv9gujarati) August 19, 2022
બપોર બાદ સાંજે 4.45 કલાકે દર્શન માટે મંદિર ખોલાશે. બાદમાં સાંજે 5 કલાક ઉત્થાપન આરતી બાદ નિત્ય ક્રમાનુસાર સેવા-પૂજા કરાશે અને રાત્રે 2 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે.. લાલાને પંચામૃત સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનને સેવા તથા શૃંગાર કરીને મોર મુગટ ધારણ કરવામાં આવશે અને બાલ ગોપાલ લાલજીને પૂજારીઓ દ્વારા સોનાના પારણામાં ઝૂલાવવામાં આવશે.
બીજી તરફ ડાકોરમાં જન્માષ્ટમી નિમિત્તે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા નિ:શુલ્ક તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. સેવાભાવી સંસ્થા દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના પર્વ પર આ પ્રકારે તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. ડાકોરમાં આવતા ભક્તો આ તુલસીના રોપાઓને પ્રસાદ રુપે લેતા હોય છે. હજારોની સંખ્યામાં આ રોપાઓનું વિતરણ કરવામાં આવતુ હોય છે. ભક્તો પણ ખુશી ખુશી આ રોપાઓને લઇને પોતાના ઘરે વાવતા હોય છે.
Published On - 10:54 am, Fri, 19 August 22