સમાજમાં તરછોડેલા, અશક્ત, નિઃસહાય વૃધ્ધો માટે હવે ખેડા જિલ્લા પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. વસો પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સાથે કોન્સ્ટેબલોએ શ્રવણ બની વૃધ્ધાશ્રમના 23 વડીલોને ડાકોરધામની જાત્રા કરાવી છે. ઠાકોરજીના દર્શન કરાવી હેતથી ભોજન આપી પરત લાવવામાં આવ્યા છે.
ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વી.આર.બાજપાઈના માર્ગદર્શન મુજબ વસો પોલીસ સ્ટેશનના PSI એચ.એન. આજરા અને તેમના સ્ટાફ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેમાં આ પોલીસ મથકના પોલીસ અધિકારી સાથે પોલીસ કર્મીઓએ શ્રવણ બની પીજ ગામે આવેલા જલારામ વૃધ્ધાશ્રમના 23 વડીલોને ડાકોર ધામની જાત્રા કરાવી છે.
વૃદ્ધાશ્રમના આંગણેથી મીની લકઝરી બસ દ્વારા ડાકોરમાં ઠાકોરજીના દર્શન કરાવ્યા. એટલું જ નહીં આ તમામ વડીલ વૃદ્ધોને હેતથી ભોજન પીરસ્યું હતું. આ તમામ કામગીરી પીએસઆઈ એચ.એન. આજરા, હેડ કોન્સ્ટેબલ કનુભાઈ, સંજયભાઈ, દિવ્યાબેન, સોનલબેન, જલ્પાબેન સહિત સમગ્ર પોલીસ સ્ટેશનના સ્ટાફે કરી હતી. પોલીસે તમામ વડીલોનો હાથ પકડી બસમાં બેસાડી મંદિરમાં દર્શન કરાવ્યા હતા. ડાકોરના ઠાકોરના દર્શન કરી દંડી આશ્રમ ખાતે મહંત વિજયદાસજીના આર્શીવાદ મેળવ્યા હતા અને ત્યાં જ ભોજન મેળવ્યું હતું.
વસો પોલીસ સ્ટેશનના PSI એચ.એન. આજરાએ જણાવ્યુ હતુ કે, પોલીસ એ સમાજનો એક ભાગ છે અને સમાજમાં બનતા ગુનાઓ અટકે અને સારા વિચારોનું આદાન પ્રદાન થાય તે હેતુસર આ એક કામગીરી કરવામાં આવી છે. આ યાત્રા કોઈ એક દિવસ માટે સિમિત નથી પણ દર મહિનાના પ્રથમ રવિવારે વસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવા વડીલ વૃદ્ધોને ધાર્મિક જાત્રા કરાવાશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો