Junagadh Breaking : ગિરનારની સીડીઓ પર ફરી દેખાયા સિંહ! યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી મહત્વની સૂચના

| Updated on: Jul 30, 2026 | 1:14 PM

ગિરનાર પર્વતની નવી સીડી પર ફરી એકવાર સિંહો જોવા મળતા વન વિભાગ સતર્ક બન્યું હતું. મોડી રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ નવી સીડીના 50મા પગથિયા નજીક ત્રણ નર સિંહો જોવા મળ્યા હતા.

જૂનાગઢના ગિરનાર પર્વતની નવી સીડી પર ફરી એકવાર સિંહો જોવા મળતા વન વિભાગ સતર્ક બન્યું હતું. મોડી રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ નવી સીડીના 50મા પગથિયા નજીક ત્રણ નર સિંહો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને ટ્રેકર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ શરૂ કર્યું હતું.

ગિરનારની સીડીઓ પર ફરી દેખાયા સિંહ

અગાઉ થોડા દિવસ પહેલા જ ગિરનારની ચઢાઈ દરમિયાન એક 11 વર્ષના બાળકને સિંહ ખેંચીને લઈ ગયો હતો જે બાદ યાત્રા રોકી દેવામાં આવી હતી. જોકે તે બાદ કડક સુરક્ષાઓની સાથે સીડી માર્ગ શરુ કરવામાં આવ્યો છે, અને રોજ હજારો શ્રદ્ધાળુ મંદિર દર્શન માટે આવતા હોય છે, ત્યારે હવે સીડીઓ પર પણ સિંહોની હાજરી જોવા મળતા વનવિભાગ ચિંતામાં મુકાયું છે.

વન વિભાગે સમગ્ર કામગીરી દરમિયાન ખાસ કાળજી રાખી હતી કે સિંહોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય. સાથે જ યાત્રાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ત્રણેય સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના બની નહોતી.

મોડી રાતે અને વહેલી સવારે યાત્રા જૂથમાં કરવા સૂચના

ઘટના બાદ વન વિભાગે યાત્રાળુઓને ખાસ અપીલ કરી છે કે જો ગિરનાર યાત્રા દરમિયાન સિંહ દેખાય તો ગભરાવું નહીં અને તાત્કાલિક નજીકના વનકર્મીઓને જાણ કરવી. ઉપરાંત, વહેલી સવારે અને મોડી રાત્રે શક્ય હોય ત્યાં સુધી જૂથમાં યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે.

યાત્રાળુઓને સુરક્ષામાં સહભાગી બનવા કરી અપીલ

વન વિભાગે યાત્રાળુઓને ગિરનારની સીડી પર ખાદ્યપદાર્થો અથવા પ્રસાદ ન ફેંકવાની પણ સૂચના આપી છે, જેથી વન્ય પ્રાણીઓ માનવ વસાહત તરફ આકર્ષાય નહીં. વન વિભાગે સૌને તેમની સૂચનાઓનું પાલન કરીને વન્યજીવ સંરક્ષણ અને યાત્રાળુઓની સુરક્ષામાં સહભાગી બનવા અપીલ કરી છે.

Breaking News : વિવાદમાં રહેતી કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી પોલીસે અટકાયત કરી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
Loading...
Unable to load recommendations.