ગુજરાતમાં (Gujarat) લમ્પી વાયરસનો(Lumpy Virus) ફેલાવો વધી રહ્યો છે. જેમાં રાજ્યના 20 જિલ્લામાં 65 હજાર પશુ લમ્પીગ્રસ્ત થયા છે. જયારે સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) આજે લમ્પી વાયરસથી વધુ અસર ગ્રસ્ત એવા જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લમ્પી સ્કિન ડીસીઝની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી. જેમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સઘન સારવારનાં પરિણામે જિલ્લામાં 1609 પશુઓ લમ્પીમુક્ત થયા,હાલ 3692 પશુઓ સારવાર હેઠળ છે. તેમજ જિલ્લામાં કુલ 1,10, 456 પશુઓનું રસીકરણ કરાયું છે. જેમાં જિલ્લામાં 95 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ છે.
જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પશુપાલન વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે લમ્પી સ્કિન ડીસીઝની સર્વગ્રાહી સમીક્ષા અર્થે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પશુઓની સારવાર કે રસીકરણ બાદની સ્થિતિની પણ પૂરતી કાળજી લેવાવી જોઈએ. જયારે સરકાર દ્વારા રાજ્યમાંથી લમ્પી રોગને નાબૂદ કરવા તમામ પૂરતા પગલાંઓ લેવાયા છે તેમજ આ અંગે વહીવટી તંત્ર, પશુપાલન વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે. મુખ્યમંત્રીએ બેઠકમાં અધિકારીઓને મૃત પશુઓના ઝડપી તથા યોગ્ય નિકાલ માટે તાકીદ કરી હતી તેમજ લમ્પી અસરગ્રસ્ત વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ સઘન રસીકરણ હાથ ધરવા સૂચના આપી હતી.\
આ બેઠકમાં વિગતો આપતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ પ્રસર્યો ત્યારથી જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉચિત આયોજનો કરી રોગ પર નિયંત્રણ લાવવા શ્રેષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્રની જરૂરિયાત મુજબની તમામ માંગણીઓ પણ સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. વાયરસ પર નિયંત્રણ આવે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ તેમના માર્ગદર્શન હેઠળ મહદઅંશે રોગ પર કાબુ મેળવવામાં સફળતા પણ મળી છે.