સુરતમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. જો કે વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં (Surat) તમામ ખાડીઓ ઓવરફ્લો થઈ છે. સુરતના ખાડી કિનારે વસતા લોકો સામે માનવસર્જિત ખાડીપૂરની આફત આવી છે. દરવર્ષે ખાડીપૂર આવતા ખાડી કિનારે રહેનારા લોકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ખાડીપૂરમાં આસપાસના તમામ વિસ્તારો જળમગ્ન થયા છે. જેને પગલે જનજીવન ખોરવાયું છે.
દર વર્ષે ખાડીપૂર આવે છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે ખાડીપૂરની પરિસ્થિતિ દરવર્ષે સર્જાતી રહે છે. સુરતમાંથી કુલ નાની મોટી પાંચ ખાડી છે. જેમાં કાંકરા ખાડી, ભેદવાડ ખાડી, મીઠી ખાડી, ભાઠેના ખાડી, સીમાડા ખાડી આવેલી છે. જેમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા મુશ્કેલી સર્જાઈ છે. વૃંદાવન સોસાયટી બેટમાં ફેરવાઈ ચૂકી છે. તો મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે ખાડી પૂરની આસપાસની દિવાલ વધુ ઉંચી બનાવવામાં આવશે.
સુરતમાં સર્જાયેલુ ખાડીપૂર એ મનપા આધારિત અને માનવસર્જિત હોય તેવુ લાગી રહ્યુ છે. ખાડીપુરથી સુરતના પર્વત પાટિયા, લીંબાયત, ઉધના, ભેસ્તાન, ભેદવાડ સહિતના વિસ્તારોમાં પુરની ગંભીર પરિસ્થિતિ ઉભી થવાથી લોકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ખાડી વિસ્તારમાં ભારે પૂરને પગલે ઘણા લોકો નોકરી પર જઈ શક્યા નથી, તો ધંધા રોજગારને પણ અસર પહોંચી છે. ત્યારે ઘણા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવા મજબૂર બન્યા છે. ત્યારે ખાડી પૂરની આ સમસ્યાનો હલ ક્યારે આવશે તે મોટો સવાલ છે.