ગુજરાતમાં શકિતપીઠ અંબાજીમાં મોહન થાળ પ્રસાદને બંધ કરવાના વિરોધ વચ્ચે રાજનીતિ ગરમાઈ છે. જેમાં મોહનથાળ પ્રસાદ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે.કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે પ્રસાદ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. જેમાં જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો કે ભાજપ માનીતા વેપારીઓને ચીકીનો કોન્ટ્રેક્ટ આપી તેમનો એજન્ડા સેટ કરવા માગે છે. બીજી તરફ ભાજપે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રસાદનો મુદ્દો ટ્રસ્ટ અને ભક્તો વચ્ચેનો છે. જેમાં સરકાર પ્રસાદ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવશે.
આ દરમ્યાન, શકિતપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મુદ્દે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે શનિવારે આપેલું નિવેદન આજે ફેરવી તોળ્યું છે. તેમજ કહ્યું છે ચીક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે. જો કે શનિવારે મંત્રી ઋષિકેષ પટેલે ચિક્કીના પ્રસાદના ગુણગાન ગાયા હતા. તેમજ કહ્યું હતું કે મોહનથાળનો પ્રસાદ આઠ દિવસમાં બગડી જાય છે. જ્યારે ચીકીનો પ્રસાદ લાંબા સમય સુધી બગડતો નથી. જો કે તેમના આ નિવેદન બાદ રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમાજે આકરી પ્રતિક્રિયા આપી હતી. જેમાં મંદિરના વહીવટમાં સરકાર હસ્તક્ષેપ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં શકિતપીઠ અંબાજીમાં મોહનથાળના પ્રસાદને લઇને ઉભો થયેલો વિવાદ હવે રાજ્યના અન્ય શહેરોમાં પણ પહોંચ્યો છે. જેમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચાલી રહેલા પ્રસાદ વિવાદ મુદ્દે હવે VHP પણ મેદાનમાં ઉતર્યું છે.વિશ્વ હિન્દુ પરિષદે પણ પ્રસાદી બદલવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે રાજકીય લોકોના દબાણમાં આવીને આવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે VHPનાં પ્રદેશમંત્રી અશોક રાવલની ઉપસ્થિતમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિરે અંબાજી મંદિરનાં વહીવટીતંત્રને સદબુદ્ધિ અર્પે તે હેતુથી પ્રાથર્ના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Gujarati Video: અમદાવાદમા ભદ્રકાળી મંદિરે VHP દ્વારા અંબાજીમાં મોહનથાળ પ્રસાદ શરૂ કરવા માગ કરી