એશિયાની સૌથી મોટી દૂધની ડેરી અમૂલમાં 3 સરકારી પ્રતિનિધિની નિમણૂક કરવામાં આવી છે. સરકારી પ્રતિનિધિના જોરે સત્તા ટકાવી રાખવાના ભાજપ પ્રયાસ કરતું હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે. અમૂલ ડેરીની હાલની સ્થિતિની વાત કરીએ તો અમૂલમાં ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 2 સભ્યોનું સમર્થન છે.
આ પણ વાંચો :આણંદઃ બોરસદમાં ઓનલાઇન જુગારનો ખેલ, અઢી લાખથી વધુના મુદ્દામાલ સાથે 9 આરોપીની ધરપકડ
ભાજપના 10 સભ્યોમાં મોટા ભાગના કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા લોકો છે. જો ભવિષ્યમાં કોંગ્રેસના સભ્યો ઘરવાપસી કરે તો ભાજપની સત્તા પર અસર થઇ શકે છે. અને ભાજપે લીધેલા નિર્ણયમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ત્યારે આ સ્થિતિથી બચવા અને આગોતરા આયોજનના ભાગરૂપે ભાજપે આ રણનીતિ તૈયાર કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમૂલ ડેરીએ 3 સરકારી પ્રતિનિધિની નિમણૂક તો કરી દીધી પરંતુ આમાં એક કાયદાકીય ગૂંચવણ પણ છે. અગાઉ આ મામલે ગુજરાત હાઇકોર્ટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારની તરફેણમાં ચુકાદો આપી ત્રણેય નોમીનેટેડ સભ્યોના મત રદ કરવાનો હુકમ કર્યો હતો. સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો અમૂલ ડેરીના ચેરમેન અને વા. ચેરમેન પદની ગત તા. 20 ઓક્ટોબર 2020ના ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં સરકાર દ્વારા 3 પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવી હતી અને તેમના દ્વારા મતદાન પણ કરવામાં આવ્યું હતું. જે મતદાનનો વિરોધ કોંગ્રેસના જે તે સમયના સભ્યોએ કર્યો હતો. અને બાદમાં હાઇકોર્ટે કોંગ્રેસના સભ્યોની તરફેણમાં ચૂકાદો આપી ત્રણેય નોમીનેટેડ સભ્યોના મત રદ કરવાનો હુકમ કર્યો હતો.
( ઈનપુટ : રિપોર્ટર – ધર્મેન્દ્ર કપાસી)