Junagadh: વરસાદ બાદ ખેતરો પાણીમાં ગરકાવ, અનેક રજૂઆતો પણ કામગીરી નહીં, ખેડૂતો ચિંતામાં

|

Aug 13, 2022 | 8:45 AM

જૂનાગઢના (Junagadh) માંગરોળના છેલ્લા 15 દિવસથી ખેડૂતોના (Farmers) મગફળી, સોયાબીન, કેળના પાક પાણીમાં ગરકાવ થયા છે. પીડબ્લ્યૂડી અધિકારી અને મામલતદારને ખેડૂતોએ લેખિત અને મૌખિક બંને રજૂઆત કરી છે.

જૂનાગઢમાં (Junagadh) આ વર્ષે ચોમાસાનો (Monsoon 2022) સારો એવો વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માંગરોળના ખેડૂતો વરસાદને (Rain) કારણે તો ખુશ તો થયા છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે તેમનો સંપૂર્ણ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાનો ખેડૂતો (Farmers) આક્ષેપ કરી રહ્યા છે. આ મુશ્કેલીની રજૂઆતો કર્યા પછી પણ તેનો કોઈ ઉકેલ નથી. ચંદવાણા ગામથી દરસાલીના નવનિર્મિત રસ્તામાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં પાણી ભરાયા હોવાનું ખેડૂતોનું કહેવું છે. આમ તો ચાર ફૂટ જેટલો રસ્તો ઉંચો બનાવવામાં આવ્યો છે. પરંતુ પાણીના નિકાલ માટે પાઈપલાઈન જ નાખવામાં નહીં આવતા ખેડૂતોની 100 વીઘા જમીન પાણીમાં ડૂબી ગઈ છે.

ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ

જૂનાગઢના માંગરોળના છેલ્લા 15 દિવસથી ખેડૂતોના મગફળી, સોયાબીન, કેળના પાક પાણીમાં ગરકાવ થયા છે. પીડબ્લ્યૂડી અધિકારી અને મામલતદારને ખેડૂતોએ લેખિત અને મૌખિક બંને રજૂઆત કરી છે. છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી. પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવે તેવી પણ માગ ખેડૂતોએ તંત્ર પાસે કરી હતી, પરંતુ હાલત જૈસે થે. કૂવામાં પાણી ન હોવાથી ચંદવાણા ગામના ખેડૂતો વર્ષમાં એક જ વાર પાક લેતા હોય છે. તેમાં પણ તંત્રની બેદરકારીના કારણે હાલ ખેડૂતોનો મહામુલો પાક પાણીમાં ગરકાવ થયો છે.

ખેડૂતોમાંથી પાણીના નિકાલની તંત્ર પાસે માગ

આ તરફ ચંદવાણા ગામના સરપંચે પણ પાણીના નિકાલની તંત્ર પાસે માગ કરી હતી. જો પાણીનો નિકાલ ટુંક સમયમાં નહીં થાય તો મગફળીનો પાક નષ્ટ થશે તેવું પણ સરપંચે જણાવ્યુ છે. આમ આ ગામની સ્થિતિ વિકટ છે એ તો સ્પષ્ટ દેખાય છે. ત્યારે ખેડૂતોના માથે આવી પડેલી આ આફતને ઝડપથી દૂર કરવાની જરૂર હોવાનું પણ સરપંચ જણાવે છે. હવે ખેતરમાંથી ઝડપભેર પાણીનો નિકાલ થાય એના માટે અધિકારીઓ આળસ ખંખેરીને ઉભા થાય તો ખેડૂતો વધુ નુકસાનીમાંથી બચી શકે. નહીં તો તેમણે માથે હાથ દઈને રોવાનો વારો આવી શકે છે.

(વીથ ઇનપુટ-વિજયસિંહ પરમાર, જૂનાગઢ)

Next Video