ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ કાર્ડધારકને( Aayushmaan Yojna) સારવાર ન આપતી હોવાની ફરીયાદો ઘણા વખતથી સામે આવી રહી છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાને ઋષિકેશ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે “વહેલી તકે પ્રાઇવેટ હોસ્પિટલના(Private Hospital) બાકી રહેલ પેમેન્ટ ચૂકવવામાં આવશે” તમને જણાવી દઈએ કે, રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ(Rushikesh Patel) અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે ખાનગી હોસ્પિટલને લઈને આ નિવેદન આપ્યુ હતુ. તેમના જણાવ્યા અનુસાર આગામી એક મહિનામાં બાકીના ક્લેમ ચૂકવી દેવાશે.ઉલ્લેખનીય છે કે,ખાનગી હોસ્પિટલોમાં ક્લેમની ચૂકવણીમાં વિલંબ થવાથી નાની મોટી ફરિયાદ આવી રહી છે.
રાજ્યમાં આયુષ્માન કાર્ડ યોજનાનો વ્યાપ વધ્યો
ઉલ્લેખનીય છે કે, રાજ્યની 1875 સરકારી અને713 જેટલી ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારક તબીબી સેવાનો લાભ મેળવી શકે છે. આ તમામ તબીબી સેવા કાર્ડધારકને કેશલેસ અને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં સામાન્ય બિમારી સાથે,અતિ મોંઘી સર્જરી તેમજ કેન્સર, કિડની, હ્યદયરોગ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (PM Modi) દેશના નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી અને વિનામૂલ્યે મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી છે.
સુરક્ષા કવચ 5 લાખ રૂપિયા
તમને જણાવી દઈએ કે, સામાજીક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ(SECC)-2011 અંતર્ગત નિયત માપદંડો ધરાવતા રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પરિવારોને આ યોજના હેઠળ 5 લાખ નું પ્રતિવર્ષ સુરક્ષા કવચ પૂરુ પાડવામાં આવે છે. કાર્ડ માટે પાત્રતા ધરાવતા વ્યક્તિ કાર્ડ કઢાવીને આ યોજનાનો લાભ લઈ શકે છે.
Published On - 8:30 am, Tue, 3 May 22