રાજ્યમાં ચાલતા આંદોલનને (Movement) લઈને સરકાર એક્શનમાં આવી ગઇ છે. આરોગ્ય કર્મચારીઓ (health workers) જોડે આજે સરકારના મંત્રીઓ બેઠક કરવાના છે. આ બેઠકમાં તેમના પડતર પ્રશ્નોને લઇને ચર્ચા કરવામાં આવશે. અગાઉ અનેક વખત પોતાના પ્રશ્નોને લઇને આરોગ્ય કર્મચારીઓ અને રાજ્ય સરકાર (state government) વચ્ચે વાતચીત થઇ હતી. અગાઉ સરકારની કમિટી દ્વારા આરોગ્ય કર્મચારીઓને એક મહિનામાં પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. જે પછી આજે બપોરે બેઠકમાં આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.
છેલ્લા 41 દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની સતત હડતાળના પગલે બે સપ્તાહ પહેલા પાંચ મંત્રીઓની કમિટી બનાવવામાં આવી હતી. જેમાં જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુભાઇ દેસાઇ, હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. તેમના દ્વારા જે આંદોલનો છે તેને સમેટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ચ કર્મચારીઓની હડતાળને લઇને પણ બેઠક કરવામાં આવી હતી. જે પછી એક મહિનાની અંદર તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પર સરકાર દ્વારા જાહેરાત આવી હતી.
જો કે સરકારની જાહેરાત બાદ આરોગ્ય કર્મચારીઓનું જે સંગઠન છે તેમાં પણ ફાંટા જોવા મળ્યા હતા. જે પછી શુક્રવારે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓએ સચિવાલયની આસપાસનો ઘેરાવો કર્યો હતો. જેથી આજે તાત્કાલિક ધોરણે બપોર બાદ બેઠક બોલાવવામાં આવી છે. બપોર બાદ આ બેઠક યોજાશે, જેમાં આરોગ્યના અધિકારીઓ અને સરકારના મંત્રીઓ હાજર રહેશે. આ બેઠકમાં સમસ્યાનું સમાધાન આવે તે માટેની ચર્ચા કરવામાં આવશે.