ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ વધુમાં વધુ બેઠકો મેળવવા પ્રચાર પ્રસારમાં એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ગુજરાતમાં (Gujarat) આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે, ત્યારે 27 વર્ષથી શાસનમાં રહેલી ભાજપ (BJP) પણ ગુજરાતમાં કબ્જો જમાવવા પુરતા પ્રયાસ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદી (Prime Minister Modi) અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે, આ બધાની વચ્ચે આજથી ભાજપ 5 ઝોનમાં ગુજરાત ગૌરવ યાત્રા શરુ કરવા જઇ રહી છે.
ભાજપ મિશન 182 માટે આજથી “ગૌરવ યાત્રા” શરુ કરવાની છે. વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ છે. ત્યારે નબળી ગણાતી 83 બેઠકો પર ભાજપનું ફોકસ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તરમાં ભાજપની વિશેષ નજર છે. હારેલી બેઠકો કબજે કરવા ભાજપ આયોજન બનાવી રહ્યુ છે. ઓછા માર્જિનથી હારેલી બેઠકો પર વધુ ધ્યાન આપવા માટે પણ આ ગૌરવ યાત્રા શરુ કરવામાં આવશે તેવુ મનાઇ રહ્યુ છે. ખાસ કરીને આદિવાસી મતબેંક પર ભાજપની નજર છે. ગૌરવ યાત્રા દ્વારા આદિવાસી બેઠકો પર ફોકસ કરશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવશે. ઝોન વાઇઝ 10 દિવસની યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીમાં સત્તાના શિખરો પાર કરવા ભાજપ 5 યાત્રા (Yatra) કરશે. જેમાં તમામ 182 બેઠકો સામેલ થઈ જાય તે પ્રમાણે આ પ્રચાર કેમ્પેઈન કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતના 2-2 યાત્રા થશે, જ્યારે ઉત્તર ગુજરાત માં એક યાત્રા યોજાશે.રાષ્ટ્રીય નેતૃત્વ હેઠળ થનારી આ યાત્રામાં પ્રદેશ ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો (Amit Shah) સમય માંગ્યો છે.સુત્રોનુ માનીએ તો વડાપ્રધાનની ગુજરાત મુલાકાત (PM Modi gujarat visit) બાદ આ યાત્રા થશે, યાત્રાના રૂટ પર નજર કરીએ તો ઉનાઈ થી અંબાજી, ઉનાઈ થી ફાગવેલ, ઝાંજરકા થી સોમનાથ, દ્વારકા થી પોરબંદર, બહુચરાજી થી માતાનો મઢ રહેશે.