અમદાવાદમાં ઘાટલોડિયાના આપના ઉમેદવાર વિજય પટેલે ભાજપ પર આક્ષેપ કર્યા છે. વિજય પટેલે આપના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાતને પોકળ ગણાવી. 3 દિવસ પહેલા આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાની વાતો સામે આવી હતી..વિજય પટેલે આક્ષેપ કર્યો કે ભાજપ માત્ર માહોલ બનાવવા માટે આ પ્રકારના સ્ટંટ કરે છે. તો બીજીબાજુ ભાજપે આરોપ કર્યો કે આમ આદમી પાર્ટી હારી રહી છે..જેથી હતાશામાં આવી આ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે.
ભાજપે ઘાટલોડિયા બેઠક પરથી વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપીટ કર્યા છે. તેમની સામે કોંગ્રેસમાંથી અમી યાજ્ઞિક મેદાને છે, તો આમ આદમી પાર્ટીમાંથી વિજય પટેલ મેદાને છે. વિજય પટેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા આપના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાતને રદિયો આપ્યો અને સમગ્ર ઘટનાને ભાજપનો પબ્લીસિટી સ્ટંટ ગણાવ્યો.
આપને જણાવી દઈએ કે આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપના મધ્યસ્થ કાર્યાલયે દેખાયા હતા. ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
આ પહેલા રાજકોટના જસદણમાં અમિત શાહ પ્રચાર અર્થે ગયા હતા, તે દરમિયાન કોંગ્રેસ અને આપના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. અમિત શાહની હાજરીમાં કોંગ્રેસ-આપના આગેવાનોએ કેસરિયા કર્યા હતા..
Published On - 11:59 pm, Mon, 28 November 22