વિધાનસભા ચૂંટણીમાં (Assembly elections) આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે કમર કસી લીધી છે. જે અંતર્ગત આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ વડોદરામાં વધુ એક વખત વચનોની લ્હાણી વહેંચી છે. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓને લઈને મોટુ વચન આપ્યુ છે. કેજરીવાલે રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્નોને ઉકેલવાની ખાતરી આપી છે.
આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડોદરામાં પ્રજાને વધુ એક વાયદો કર્યો છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અમલી બનાવવાનો વાયદો આપ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં છે. રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્નોને ઉકેલવામાં રસ દાખવતી નથી. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓના આક્રોશને એનકેશ કરવાનો પ્રયત્ન કર્યો અને ગુજરાતના સરકારી કર્મચારીઓને અંદરખાને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અપીલ કરી.
અરવિંદ કેજરીવાલે ભાજપની ડબલ એન્જિન સરકાર કામ કરવામાં નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવ્યો. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ભ્રષ્ટાચાર મુદ્દે રોજ પ્રેસ કોન્ફરન્સ કરવાને બદલે સરકારે દોષિતોને જેલના સળિયા પાછળ નાંખવા જોઈએ. કેન્દ્ર સરકાર પાસે CBI, ED, ઈન્કમ ટેક્સ અને પોલીસ સહિતની એજન્સીઓ છે તો કામ કરતા કોણ રોકે છે તેવો કટાક્ષ પણ કેજરીવાલે કર્યો.
અરવિંદ કેજરીવાલે મફતની રાજનીતિ મુદ્દે થતા પ્રહારનો આક્રમક અંદાજમાં વળતો જવાબ આપ્યો. કેજરીવાલે કહ્યું અમે ઈમાનદારીથી કામ કરતા હોવાથી સરકારના ખુબ રૂપિયા બચાવીએ છીએ અને તે રૂપિયાનો જનતાના હિતમાં ઉપયોગ કરીએ છીએ. અમારો ઈરાદો સારો હોવાથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અમારો વિરોધ કરે છે.