ગુજરાતમાં ચૂંટણી માહોલ બરાબર જામ્યો છે, ત્યારે હવે રાજકીય પક્ષોની સાથે સંત સમાજ પણ ચૂંટણીમાં સક્રિય રસ દાખવી રહ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ નૌતમ સ્વામીએ જાહેર મંચ પરથી ભાજપને મત આપવા માટે અપીલ કરી છે. નૌતમ સ્વામીએ PM મોદીના વખાણ કરતા જણાવ્યું કે તેમને યાત્રાધામોનો વિકાસ કર્યો છે અને આવનારી ચૂંટણીમાં હિન્દુત્વના નામે ભાજપને મત આપવો જોઈએ. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે આવનારી શતાબ્દી હિન્દુઓની છે. હિન્દુઓ આંખ મીંચીને ભાજપને મત આપો. ઉલ્લેખનીય છે કે નૌતમ સ્વામીની અપીલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પૂર્વે હવે જ્ઞાતિ આધારિત રાજનીતિ પણ તેજ થઈ છે. એક પછી એક દરેક સમાજ તેમના ઉમેદવારને ચૂંટણીમાં ટિકિટ અને પ્રતિનિધિત્વ આપવાની માગ કરી રહ્યા છે, ત્યારે સાધુ સંતોએ પણ ટિકિટની માગણી કરી છે. રાજકોટમાં ભાગવત સપ્તાહમાં ગુરૂ વંદના મંચ પર તમામ સાધુ સંતોએ વિધાનસભા ચૂંટણીમાં 10 સીટ પર સંતોને ટિકિટ આપવાની માગ કરી છે. સંતોએ એમપણ કહ્યું, રાજસત્તાની સાથે ધર્મસભાને સ્વીકારવામાં આવે. જો કોઈપણ પક્ષ તરફથી ટિકિટ નહીં મળે તો વિશ્વ સંત મંડળ ભેગા મળીને ચૂંટણીમાં પોતાના 182 ઉમેદવારો મેદાનમાં ઉતારશે.