મોરબી પુલ દુર્ઘટનાને લઈ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે પુલ દુર્ઘટનાની ચૂંટણી પરિણામો પર કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યું કે સરકારની ભૂલના કારણે કંઈ થયું હોય તો ચૂંટણી ઉપર અસર પડે, પરંતુ આમાં સરકારની કોઈ ભૂલ નથી. મોરબીની દુર્ઘટના રાજ્યકક્ષાની ભૂલના કારણે નથી બની. રાજ્ય સરકારની બેદરકારીના કારણે પણ નથી બની આ મામલે SIT નિમવામાં આવી છે. SIT પોતાનો રિપોર્ટ આપશે જેમાં પુલ કોના વાંકે તૂટ્યો તે ખબર પડશે.
રાજકોટની હાઈપ્રોફાઈલ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટ માગતા રાજકારણ ગરમાયું છે. કારણ કે આ બેઠક પર પૂર્વ સીએમ વિજય રૂપાણી નીતિન ભારદ્વાજને ટિકિટ મળે તેવું ઈચ્છી રહ્યા છે. બીજીતરફ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ પણ લોબિંગ શરૂ કર્યું છે. આતરફ ડેપ્યુટી મેટર દર્શિતા શાહ અને કશ્યપ શુક્લએ પણ આ બેઠક પરથી જ દાવેદારી કરી છે.. જ્યારે કડવા પાટીદાર સમાજે પણ રાજકોટ પશ્ચિમ બેઠક પર જ દાવો કર્યો છે. આ અંગે જ્યારે વજુભાઈ વાળાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે- તમામ લોકોને રજૂઆત કરવાનો હક અને અધિકાર છે. તમામ લોકોએ પોતાના વિચાર પ્રમાણે નામ આપ્યા છે પણ તે આખરી નિર્ણય નથી હોતો. તેમણે કહ્યું કે- તેમનો કોઈ અંગત મદદનીશ નથી, પાર્ટીનો કાર્યકર્તા છે બધાની ભલામણોના આધારે કોઈ એક નામ નક્કી થતું હોય છે. નિરીક્ષકો નામ નક્કી કરીને પાર્લામેન્ટ્રી બોર્ડ પાસે મોકલે છે