ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દિવસે દિવસે વધુ આક્રમક બની રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ સુરતના સરથાણામાં આમ આદમી પાર્ટીની જનસભા દરમિયાન મારામારીના દૃશ્યો સામે આવ્યા હતા. ત્યા ફરી સુરતમાં કતારગામમાં આમ આદમી પાર્ટીની જનસભામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં એક બાળકને આંખ પર પથ્થર વાગ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. બાળકને હોસ્પિટલ ખસેડ્યા બાદ સભા ફરી શરૂ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે જઈ મામલો થાળે પાડ્યો હતો.
આ અગાઉ પણ સુરતના સરથાણામાં યોગી ચોક નજીક આપના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી સર્જાઈ હતી. જેમા બંને પાર્ટીના કાર્યકરો સામસામે થઈ ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. ભાજપનો એક કાર્યકર લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો.
આ મારામારીની ઘટના પછી વીડિયો વાયરલ થયો હતો. જેમા દેખાતો અજય શિરોયા નામનો વ્યક્તિ કારમેજના પૂર્વ ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાનો નજીકનો હોવાનું કહેવાય છે. આ અંગે કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી.