રાજકોટની ગોંડલ બેઠક પર ફરી એકવાર જયરાજસિંહ જૂથ અને રિબડા જૂથ આમને સામને આવ્યુ છે. ગીતાબા જાડેજાને ભાજપમાંથી ટિકિટ મળ્યા બાદ જયરાજસિંહ જાડેજા સતત રિબડા જૂથ પર આક્રમક જોવા મળ્યા. રિબડા જૂથે પણ જયરાજસિંહ જૂથ પર પણ વળતો પ્રહાર કર્યો. અનિરુદ્ધસિંહે દેરડીમાં અનુસૂચિત સમાજની રેલીમાં જયરાજસિંહ જાડેજા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ગોંડલનો દરેક સમાજ જયરાજસિંહના પરિવારથી નારાજ છે. જયરાજસિંહ અન્ય સમાજ પર દાદાગીરી કરે છે. ગોંડલ પરિવર્તન ઈચ્છે છે.
આપને જણાવી દઈએ કે ગોંડલના દેરડી(કુંભાજી) ગામે અનુસૂચિત સમાજનું બંધારણ બચાવો મહાસંમેલન યોજાયુ હતુ, જેમાં અનુસૂચિત સમાજના સાધુ-સંતો અને આગેવાનો હાજર રહ્યા હતા. આ સંમેલનમાં રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે જયરાજસિંહ સામે આકરા પ્રહાર કર્યા હતા.
આ અગાઉ ગોંડલ બેઠક પર ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાનો ચૂંટણી પ્રચાર સભામાં ખુલ્લેઆમ ધમકી આપતો વીડિયો સામે આવ્યો. ગોંડલના ભૂણાવા ગામના ચોકમાં સભા સંબોધતા જયરાજસિંહે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેનને ઉલ્લેખીને ખુલ્લેઆમ ધમકી આપી. જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે મારી સામે ટિકિટ માંગવાની તમારી હેસિયત શું છે. હું જીવુ છું, ત્યાં સુધી મારા પરિવારને જ ભાજપની ટિકિટ મળશે તે લખી રાખજો. જયરાજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે મતદાનના દિવસે હું રિબડા અને આસપાસમાં જ રહેવાનો છું. જો કાંઈ ગડબડ થઈ તો સારાવટ નહીં રહે.
ઈનપુટ ક્રેડિટ- પીન્ટુ ભોજાણી- ગોંડલ
Published On - 11:28 pm, Mon, 28 November 22