ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્ય ગુજરાતમાં તાબડતોબ એકસાથે ચાર સભાઓ સંબોધી હતી. ત્યારબા તેમણે અમદાવાદના નરોડામાં ચૂંટણી સભા સંબોધી હતી. અમિત શાહે જણાવ્યુ કે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના પટેલના નેતૃત્વમાં સરકાર બને છે. શાહે ‘કોંગ્રેસનુ કામ બોલે છે’ સ્લોગન પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે છેલ્લા 32 વર્ષમાં કોંગ્રેસ એકપણ ચૂંટણી જીતી નથી. તો કામ ક્યારે કર્યુ.
શાહે વધુમાં કહ્યુ કામ બોલે છે ત્યાં પંજો ખોટો લગાડ્યો ત્યાં કમલ લગાવી કહો કામ બોલે છે. તેમણે ઉમેર્યુ કે 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં થાય તેવી ભાજપ સરકારની તૈયારી છે. આમ આદમી પાર્ટી પર વાર કર્યો કે સેનાએ કરેલી એર સ્ટ્રાઈકના પુરાવા માગી AAP એ સેનાનું અપમાન કર્યુ. સેનાના પરાક્રમના પુરાવા ન હોય તેવુ આ લોકોને કોણ સમજાવે ?
આ તરફ નર્મદાના નાંદોદમાં અમિત શાહે મેગા રોડ શો કરી શક્તિપ્રદર્શન કર્યું. સૌથી પહેલા ખેડાના મહુધામાં શાહે કોંગ્રેસ પર શાબ્દિક ચાબખાં ફટકાર્યા અને કહ્યું કે સોનિયા-મનમોહનની આગેવાની હેઠળનું કોંગ્રેસનું શાસન કૌભાંડો અને ભ્રષ્ટાચારનું હતું. તો દાહોદના ઝાલોદમાં આદિવાસીઓના વિકાસનો મુદ્દો ઉઠાવી કહ્યું કે કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો. ભરૂચના વાગરામાં શાહે કહ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું પણ વિકાસને બદલે પોતાના ઘર અને ગજવા ભર્યા. ‘કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ’ એવી કહેવત હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કાલે અમરેલીના જાફરાબાદમાં અમિત શાહ જંગી સભા સંબોધશે.