અમદાવાદની વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલનો છેલ્લી ઘડીએ વિરોધ થયો છે. વિરમગામમાં હાર્દિક પટેલ વિરોધી પોસ્ટર લાગ્યા છે આ બેનર પાટીદાર અનામત આંદોલન સમિતિના નામથી લગાવાયા છે જેમાં હાર્દિક પટેલને ચૂંટણીમાં હરાવવાની વાત કરવામાં આવી છે. બેનરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 14 પાટીદારનો હત્યારો જનરલ ડાયર કોણ છે? તે હાર્દિક પટેલ જાહેર કરે. જ્યાં સુધી શહીદોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હાર્દિક મત ન આપવાની વાત કરવામાં આવી છે. હાર્દિક વિરૂદ્ધના પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે “શહીદોને ન્યાય નહીં,, ત્યાં સુધી હાર્દિકને મત નહીં’, જે લોહીનો ન થાય.. તે કોઈનો ન થાય ,સમાજનો ન થયો તે વિરમગામનો થશે?’આમ હાર્દિક પટેલની સામે બીજા તબક્કાના મતદાન પહેલા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે, ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં બીજા તબક્કાના મતદાન દરમિયાન કુલ 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે.