ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં તબક્કાના મતદાનના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. બીજી તરફ હજુ પણ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવાનું ચાલુ છે. હવે બીજા તબક્કાના ઉમેદવારો પણ ફોર્મ ભરી રહ્યા છે. મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક માટે બીજા તબક્કામાં મતદાન થવાનું છે. જો કે વિસનગર બેઠક પર વિપુલ ચૌધરી ચૂંટણી લડશે તે વાતનું ખંડન થયુ છે. અર્બુદા સેનાએ તેમનો કોઇ પણ સભ્ય ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી છે.
મળતી માહિતી પ્રમાણે પૂર્વ ગૃહરાજ્યપ્રધાન વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડે. મહેસાણાની અર્બુદા સેનાએ ચૂંટણીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેનાએ જાહેરાત કરી છે કે તે ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને સમર્થન નહીં કરે. તેનો કોઈ સભ્ય ચૂંટણી નહીં લડે. અર્બુદા સેના બિન રાજકીય સંગઠન તરીકે સામાજિક મુદ્દા પર જ કામગીરી કરશે. આજના સંમેલનમાં પણ કોઈ રાજકીય ચર્ચા કરવામાં ન આવી હોવાનો અર્બુદા સેનાએ દાવો કર્યો છે..મહત્વનું છે કે વિપુલ ચૌધરી અર્બુદા સેનાના અધ્યક્ષ છે અને હાલમાં તેઓ જેલમાં બંધ છે.
આ પહેલા એવી ચર્ચા હતી કે જેલમાં બંધ વિપુલ ચૌધરી ચૂંટણી લડે તેવી શક્યતા છે. માણસાના ચરાડામાં અર્બુદા સેનાનું સ્નેહમિલન મળતા પહેલા આ ચર્ચાઓ ચાલી રહી હતી. ચર્ચા એવી પણ હતી કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવી માહિતી હતી. જો કે અર્બુદા સેનાનું સ્નેહમિલન કાર્યક્રમ બાદ આ ચર્ચાઓનું ખંડન થઇ ગયુ છે અને સ્પષ્ટ થઇ ગયુ છે કે વિપુલ ચૌધરી હવે ચૂંટણી નહીં લડે.
Published On - 12:41 pm, Tue, 15 November 22