ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : સુરેન્દ્રનગરમાં ચોટીલાના AAP ઉમેદવારે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી ન લડવા ભાજપે 7 કરોડની ઓફર આપી હોવાનો ચોટીલાના AAP ઉમેદવાર રાજુ કરપડાએ આક્ષેપ કર્યો છે. આ સાથે રાજુ કરપડાએ જણાવ્યું કે ભાજપના નેતાઓએ ઓફર કરી છે પરંતુ મે સ્વીકારી નથી. આ મામલે પુરાવા આપવા માટે પણ તૈયાર હોવાનો રાજુ કરપડાએ દાવો કર્યો છે.
ચૂંટણી નજીક આવતા આક્ષેપ-પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ અમદાવાદના નિકોલમાં જાહેર સભાને સંબોધન કર્યું. વિશાળ જનસભાને સંબોધતા જે.પી.નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાંધ્યું. તેમણે નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર નિશાન સાંધતા કહ્યું કે આ એવી પાર્ટી છે જે દરેક રાજ્યોમાં ચૂંટણી લડે તો છે, પરંતુ આ પાર્ટીની ડિપોઝીટ જપ્ત થઈ જાય છે. આટલું જ નહીં પણ નિકોલ બેઠકના મતદારોને પણ જે.પી.નડ્ડાએ આહ્વાન કર્યું કે જે સ્થિત અન્ય રાજ્યોમાં આપ સાથે થઈ છે, તે જ રીતે ગુજરાતમાં પણ AAPની ડિપોઝીટ જમા થઈ જવી જોઈએ.