ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) યોજાવા અંગે આપેલા નિવેદન મુદ્દે ભાજપ (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (CR Patil) સ્પષ્ટતા કરી છે. આણંદનો કાર્યક્રમ પતાવી વડોદરાની (Vadodara) મુલાકાતે આવેલા સી.આર. પાટીલે જણાવ્યું કે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. હું દિવાળી અગાઉ ચૂંટણી આવશે તેમ બોલ્યો જ નથી. મેં ફ્કત મારા રાજકીય અનુભવને આધારે અનુમાન વ્યક્ત કર્યું હતું કે ગુજરાતની ચૂંટણી નવેમ્બરના અંત સુધીમાં યોજાઇ શકે છે. જે રીતે ચૂંટણી પંચ અધિકારીઓને કામ સોંપી રહ્યું છે તેના આધારે મેં કહ્યું હતું.
વિધાનસભા ચૂંટણીને લઇને ગુજરાતમાં વિવિધ પક્ષોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષો પ્રચાર અને પ્રસારમાં લાગી ગયા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ પણ ગુજરાત વિધાનસભાની વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે આ તમામ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આણંદના એક કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખને લઇને સંકેત આપ્યા હતા. તેમણે નવેમ્બર મહિનાના અંત સુધીમાં જ વિધાનસભા ચૂંટણી યોજાઇ શકે તેવી શક્યતા દર્શાવી હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે આણંદમાં નવા કમલમ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના જિલ્લા પેજ સમિતિની સ્નેહ મિલન સભા પણ યોજાઈ હતી. આ પ્રસંગે સી.આર. પાટીલે નવેમ્બરના અંત સુધીમાં મતદાન યોજાવાના સંકેત આપ્યા હતા. ચૂંટણી પંચે હજુ તારીખો જાહેર નથી કરી પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે સંકેત આપી દીધા કે ચૂંટણી ક્યારે યોજાશે.
સી.આર. પાટીલે નવેમ્બરના અંત સુધીમાં મતદાન યોજાવાના સંકેત આપ્યા હતા. તેમણે 20થી 22 ઓક્ટોબરની વચ્ચે ચૂંટણી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરી અને નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન સંભવ હોવાનું જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, આ વખતે 2 તબક્કામાં મતદાન યોજાવાની સંભાવના છે. જો કે હવે તેમણે પોતાના નિવેદનને લઇને સ્પષ્ટતા કરી છે અને જણાવ્યુ છે કે હું દિવાળી અગાઉ ચૂંટણી આવશે તેમ બોલ્યો જ નથી. મેં ફ્કત મારા રાજકીય અનુભવને આધારે અનુમાન વ્યક્ત કર્યું હતું.