રાજ્યભરમાં લમ્પી વાયરસે (Lumpy virus) હાહાકાર મચાવ્યો છે. લમ્પીને કારણે અનેક પશુના મોત થઇ રહ્યાં છે. પશુધન સુરક્ષિત રહે તે માટે સરકાર દ્વારા પશુઓને વેક્સિન (vaccine) આપવામાં આવી રહી છે. જામનગરમાં (Jamnagar) પણ 500 જેટલા લમ્પી વાયરસના કેસ સામે આવેલા છે. જો કે જામનગરના કાલાવાડમાં લમ્પી વાયરસ થયા બાદ મૃત્યુ પામેલા પશુઓની હાલત ખૂબ જ ખરાબ બની છે. મરી ગયેલા પશુઓને કોઇ ઉઠાવવા પણ નથી આવી રહ્યુ. ત્યારે લમ્પી વાયરસના કહેરના પગલે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાતે છે. તેમણે વિવિધ ગૌશાળામાં જઇ સ્થિતિની સમીક્ષા કરી.
લમ્પી વાયરસના સતત વધી રહેલા કેસને લઇ સરકાર પણ ચિંતિત બની છે. ત્યારે પશુ અને ગૌસંવર્ધન પ્રધાન રાઘવજી પટેલ સૌરાષ્ટ્રના બે જિલ્લાની મુલાકાતે પહોંચ્યાં છે. સૌથી પહેલા રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યાં હતા. જયાં તેમણે દરેડ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને લમ્પી વાયરસ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે જ અધિકારીઓને લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચન કર્યા હતા. રાજ્યમાં લમ્પીના હાહાકાર અંગે રાઘવજી પટેલે કહ્યું કે રાજયમાં 15 જિલ્લામાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે અને અત્યાર સુધી લમ્પીને કારણે 1130 પશુઓના મોત થયા છે. હાલ લમ્પીને ફેલાતો અટકાવવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
મહત્વનું છે કે, જામનગરમાં લમ્પી વાયરસના ખૂબ જ કેસ નોંધાઇ રહ્યા છે. જામનગરમાં લમ્પી વાયરસની રસીના ઓછા જથ્થાને લઈ તબીબોનો સંવાદ સામે આવતા સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે લમ્પી વાયરસની રસીને તાત્કાલિક 50 હજાર ડોઝ જામનગર મોકલાવ્યા છે. આ સાથે જ પશુઓની સારવાર માટેની બે વાન પણ ફાળવી છે. એક વાન મારફતે જામનગર શહેર અને બીજી જિલ્લામાં પશુઓની સારવાર માટે મોકલાઈ છે. જામનગર શહેરમાં 477 અને જિલ્લામાં 3141 લમ્પી વાઈરસના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ તંત્રએ અત્યાર સુધીમાં 8130 અને જીલ્લામાં 59125 પશુઓને રસી આપી છે.