કોરોના (Corona) મહામારીના બે વર્ષ બાદ નવરાત્રી પર્વની (Navratri 2022) ધામધૂમપૂર્વક ઉજવણીને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે. ગુજરાતભરમાં (Gujarat) નવરાત્રીનો પર્વ મનાવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓનો ઉત્સાહ જાળવી રાખવા માટે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા પણ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. એક તરફ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ નવરાત્રીમાં ગરબા પૂર્ણ થયા બાદ પણ હોટલો ખુલ્લી રાખી શકાશે તેવી મહત્વની જાહેરાત કરી છે. તો બીજી તરફ અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
નવરાત્રિમાં ખેલૈયાઓના ભારે ઉત્સાહને જોતા પોલીસ પણ પોતાના એક્શન પ્લાન સાથે તૈયાર છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે નવરાત્રિને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ પણ ખુલ્લા રાખવામાં આવશે. કોમર્શિયલ ગરબાને લઇને ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. કોમર્શિયલ ગરબા સ્થળે સિક્યુરિટી ગાર્ડ અને CCTV ફરજિયાત રાખવા પડશે. તથા નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવા પર વાહન ટોઇંગ કરવાની કામગીરી પણ હાથ ધરાશે.
નવરાત્રીમાં ખેલૈયાઓને કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રીને લઇને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, નવરાત્રીમાં ગરબા પૂર્ણ થયા બાદ પણ હોટલો ખુલ્લી રાખી શકાશે. રાત્રે 12 વાગ્યા પછી પણ હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન હોય છે. એટલા માટે સરકારે ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે નિર્ણય લીધો છે.