આજે સોમનાથ મહાદેવને (Somnath Mahadev) સ્વંત્રતા દિવસના ઉપક્રમે તિરંગા શણગાર (Tiranga) કરવામાં આવ્યા હતા. અને આજે સોમવારના દિવસે સંધ્યા સમયે અરબી સમુદ્રના સાનિધ્યમાં ભકતજનોએ દેવાધિદેવના તિરંગા શણગારના દર્શન કર્યા હતા. સોમનાથ દર્શનાર્થે આવી રહેલા શ્રદ્ધાળુઓને શિવભક્તિ સાથે દેશભક્તિનો પણ અનુભવ થઈ રહ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit mahotsav) અંતર્ગત હર ઘર તિરંગાના વડાપ્રધાન મોદીના આહ્વાનને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આત્મસાત કરવામાં આવ્યું છે.
સોમનાથ મંદિરને તિરંગાના રંગે 3D લાઈટથી પ્રકાશિત કરાયું છે. તો મંદિર પરિસરમાં તિરંગો લહેરાવીને સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યા છે સાથે સોમનાથ ટ્રસ્ટની તમામ ઈમારતો પર તિરંગાને લહેરાવવામાં આવ્યા છે સમુદ્ર દર્શન વોકવે પર વિશાળ ત્રિરંગા લગાવવામાં આવ્યા છે. આજે શ્રાવણનો ત્રીજો સમોવાર છે. સાથે જ 15મી ઓગસ્ટનો અનોખો સંગમ પણ થયો છે. ત્યારે સોમનાથ (Somnath temple) દાદાના દરબારમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ દાદાના દર્શન માટે ભક્તોએ ભીડ જમાવી હતી.
ભક્તોએ પવિત્ર શ્રાવણ માસના સોમવારે દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધર્મભક્તિ સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. તો મેહૂલિયાની મહેર વચ્ચે પણ ભક્તો ડગ્યા નહીં અને લાંબી કતારોમાં વરસતા વરસાદ વચ્ચે ભક્તોએ ભોળાના દર્શન કર્યા હતા. રાજ્ય સરકારની શ્રવણ તીર્થયાત્રા યોજના હેઠળ સુરતના સિનિયર સિટીઝનોએ સોમનાથની યાત્રા કરી હતી. સિનિયર સિટીઝનો માટે રહેવા જમવા સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદીએ યાત્રિકોને સોમનાથ યાત્રા કરાવી હતી.
Published On - 9:21 pm, Mon, 15 August 22