ગીરસોમનાથ (Gir Somnath)માં ફરી એકવાર કુદરતી આફતો સામે ખેડૂતો લાચાર બન્યા છે. જિલ્લામાં ભારે વરસાદ થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગીરમાં ભારે વરસાદ બાદ ખેતરો (Farm) બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. સમગ્ર પાક બળી ગયો છે. ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ખેડૂતો (Farmers)ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ફરી વળતા મગફળી, સોયાબિન, કપાસ, પશુઓનો ઘાસચારો, સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત ભારે વરસાદને પગલે જિલ્લાની અનેક નદીએ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થમાં આવેલી સરસ્વતિ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નદીમાં પૂરને કારમે પ્રાચી તીર્થમાં આવેલ માધવરાયનું મંદિર પણ પાણીમાં જળમગ્ન બન્યુ છે. માધવરાયનું સંપૂર્ણ મંદિર પાણીમાં ગરકાવ થયુ છે. ચોતરફથી જળમગ્ન બનેલા માધવરાય ભગવાનના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી છે. જો કે દર ચોમાસામાં માધવરાયનું મંદિર આ રીતે જળમગ્ન બને છે.
આ તરફ રાજકોટના મોજ ડેમમાંથી પાણી છોડાતા મોજ નદી ગાંડીતૂર બની છે. ઉપલેટા નજીકથી પસાર થતી મોજ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. મોજ નદી પરના કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને હાલાકી પડી હતી. રહિશો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે. નાગરિકોને જીવના જોખમે કોઝવે ક્રોસ ન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.