કેન્દ્રીય વિદેશપ્રધાન એસ જયશંકર વડોદરાની (Vadodara) મુલાકાતે છે. વડોદરામાં વિદેશપ્રધાન એસ. જયશંકરે (Minister of External Affairs of India) વડોદરાના ઉધોગપતિઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે યુક્રેન, ચીન, પાકિસ્તાન,કાશ્મીર સહિતના મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. ઉદ્યોગપતિઓએ વડોદરા એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઈટ વધારવા વિદેશ પ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી. આ તરફ શ્રીલંકા અને ચીનમાં નડી રહેલા પ્રશ્નો અંગે ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના વિવિધ સેલ દ્વારા વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishankar) સાથે શહેરના પ્રબુદ્ધ નાગરીકોનો વન-ટુ-વન સંવાદ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર. કેયુર રોકડીયા ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના વિવિધ ક્ષેત્રોમાંથી આવતા જાણીતા 250 જેટલા અગ્રણીઓ જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર, એડવોકેટ્સ, પ્રોફેસર્સ, વીસીસીઆઇ અને જીસીસીઆઈ, રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ, બ્રોકર્સ, એજ્યુકેશન, એનજીઓ અને ટ્રસ્ટના અગ્રણીઓ આજે વિદેશ મંત્રી જયશંકર સાથે વન ટુ વન સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપાના શહેર અધ્યક્ષ ડો.વિજય શાહે વિદેશ મંત્રીનું સન્માન કર્યુ હતુ.