વડોદરામાં (Vadodara) ફરી એક વખત તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બાળકોને પોષણ મળે તે માટે સરકાર દ્વારા નાના બાળકો તેમજ સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર તો આપવામાં આવે છે. પરંતુ વડોદરામાં પોષણયુક્ત આહારના પેકેટ (Food Packet) એક્સપાયરી ડેટના નીકળતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આંગણવાડીમાંથી આપવામાં આવતા પોષણયુક્ત આહારના પેકેટ એક્સપાયરી ડેટવાળા હોવાથી બે બાળકીઓને ફૂડ પોઇઝનિંગ (Food Poisoning) થયું હોવાનો આક્ષેપ બાળકીઓના માતા-પિતાએ કર્યો છે.
વડોદરાના કાસા માલા કબ્રસ્તાન પાછળ રહેતા પરિવારોને પોષણયુક્ત આહાર અભિયાન અંતર્ગત બાળ શક્તિના ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. પરંતુ આ પેકેટ પર એક્સપાયરી ડેટ 3 જૂન, 2022ની તારીખ લખેલી જોવા મળી અને આ પેકેટનું વિતરણ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે. આ એક્સપાયરી ડેટવાળું બાળશક્તિ ફૂડ ખાવાને કારણે એક જ પરિવારની બે દીકરીઓને ફૂડ પોઇઝનિંગ થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે.
બાળકીના વાલીઓએ આ મુદ્દે તંત્ર પર બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહિં આ જ પ્રકારના એક્સપાયરી ડેટવાળા બાળશક્તિ ફૂડ પેકેટનું આસપાસ રહેતા અન્ય બાળકોને પણ વિતરણ કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે. તેમણે માગ કરી છે કે તંત્ર બાકીના પેકેટ પરત લઇને તાત્કાલિક તેનો નાશ કરે કે જેથી ગરીબ કે મધ્યમવર્ગીય પરિવારો આ પ્રકારે બિમારીનો ભોગ ન બને.