ભરૂચ(Bharuch) જિલ્લામાં વાલિયા તાલુકાના ડહેલી ગામે પૂલના અભાવે સ્થાનિકો કીમ નદીને જોખમીરીતે પસાર કરવા મજબુર છે. વાલિયા તાલુકાના ડહેલી ગામને વાગલખોડ ગામ સાથે જોતા માર્ગ ઉપર કીમ નદી વહે છે. ચોમાસા દરમ્યન નદીમાં જળસ્તર ઊંચું રહે છે સાથે ભારે વરસાદ દરમ્યાન ફ્લેશ ફ્લડનો પણ સતત ભય રહે છે. ગામનું સ્મશાન નદીના સામેના કિનારે આવેલું છે. ગામમાં કોઈનું મૃત્યુ થાય તો નનામીને પાણીમાંથી લઈ જવાની ફરજ પડે છે. કમરસમણાં પાણીમાંથી નનામી લઈ જતા લોકો જોખમ ખેડતા નજરે પડે છે તો સાથે ચોમાસાના ૪ મહિના આ સમસ્યા સ્થાનિકો માટે મજબૂરી સમાન બની જાય છે.
ગામના ઘણા ખેડૂતોને ખેતર નદીના સામે પાર આવેલા છે. ખેતીના કામે જવા ખેડૂતે ફરજીયાત જોખમ ઉઠાવવું પડે છે. અહીં પૂલ બનાવવા લાંબા સમયથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર આ બાબતને ગંભીરતાથી લઇ રહ્યું નથી તેમ લાગી રહ્યું છે. સ્થાનિકો પાણીના પ્રવાહમાંથી પસાર થઇ અવર-જ્વર કરે છે. ભારે વરસાદ દરમ્યાન અચાનક પ્રવાહ વધે ત્યારે નદી ઓળંગવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ તણાઈ જવાનો પણ ભય રહે છે. ડહેલી ગામમાં સ્થાનિકના મૃત્યુ બાદ તેની અંતિમક્રિયા માટે સ્મશાન લઈ જવું સ્થાનિકો માટે પડકારજનક બન્યું હતું. નનામી પણ પાણીમાંથી રહીને લઈ જવી પડી હતી. કમરસમણાં પાણીમાંથી પસાર થતા લોકોને જોઈએ ભય વર્તાતો હતો. ઘણા લોકોએ તો નદીના બીજા કાંઠેજ રોકાઈ જવાનું ઉચિત સમજ્યું હતું .
Published On - 11:49 am, Sat, 6 August 22