રાજકોટના ધોરાજી (Dhoraji) તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લમ્પી (Lumpy virous) વાયરસે કહેર મચાવ્યો છે. ધોરાજીના નાની મારડ ગામમાં એક સાથે 15 ગાયોમાં લમ્પીનું સંક્રમણ જોવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે લમ્પીનો પગપેસારો થતાં પશુપાલકો ચિંતિત બન્યા છે. લમ્પીને નાથવા સરકાર તાત્કાલિક રસીકરણની કામગીરી શરૂ કરે તેવી માંગ પશુપાલકોએ કરી છે. તો બીજી તરફ ઉપલેટામાં થોડા દિવસ અગાઉ ગૌ સેવકોએ ગાયોને સુરક્ષિત કરવા 800 જેટલી ગાયને રસી (Vaccine) આપી હતી. રાજકોટના ઉપલેટામાં વડચોક ગૌશાળામાં ગૌસેવકોએ ગાયોને લમ્પી વાયરસ સામે રક્ષણ આપવા અનોખી પહેલ હાથ ધરી છે. ગૌશાળાના સંચાલકોએ લમ્પી વાયરસ (Lumpy Virus) સામે ગાયોને રક્ષણ આપવા 800 જેટલી ગાયોને રસી અપાવી છે.
સંચાલકોએ સ્વખર્ચે ગાયોને વેક્સિન (Vaccine) અપાવવાની કામગીરી કરી છે. હાલ રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જેમાં પશુઓ બિમાર થઈ રહ્યા છે અને કેટલાક પશુઓના મોત પણ થયા છે. આ વાયરસને કારણે ગાયોની દૂધ આપવાની ક્ષમતા પણ ઓછી થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના ગામોમાં લમ્પીના કેસ વધી રહ્યા છે, જેમાં જામનગરમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે, ત્યારે જામનગરમાં પણ ગાયોનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.
ઉપલેટામાં 8થી 10 ગૌસેવકોની ટીમ આ રસીકરણ અભિયાનમાં જોડાઈ છે. પશુ પ્રેમી પિયુષ માકડિયાના જણાવ્યા મુજબ તેઓ સ્વખર્ચે આ કામગીરી કરી રહ્યા છે અને એક દિવસમાં 350થી વધુ ગાયોને રસી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ અનેક શહેરો લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા છે. ત્યારે પશુધન સુરક્ષિત રહે તે માટે પશુઓને વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્યમાં જામનગર, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, કચ્છ, પાટણ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે. આ તરફ જામનગરમાં સૌથી વધુ કેસ સામે આવતા કૃષિમંત્રી રાઘવજી પટેલે પણ સૌરાષ્ટ્રના બે જિલ્લાની મુલાકાત લીધી હતી. સૌથી પહેલા રાઘવજી પટેલ જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેણે દરેડ ગૌશાળાની મુલાકાત લઈ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.