અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઓફિસ ખોલીને લોભામણી નાણાંકીય સ્કીમો બહાર પાડીને 260 કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવનાર કૌભાંડી વિનય શાહને દિલ્લીથી ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના થલતેજ વિસ્તારમાં આર્ચર કેર નામની ઓફિસ ખોલીને લોકોને ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને ગેરકાયદેસર નાણાંકીય સ્કીમમાં રોકાણ કરાવી અંદાજે 260 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સંદર્ભે કૌભાંડના માસ્ટરમાઈન્ડ એવા વિનય બાબુલાલ શાહ વિરુદ્ધ અમદાવાદ શહેરમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાદ કૌભાંડી વિનય શાહ વિદેશ ભાગી ગયો હતો.
આ સંદર્ભે DGP આશિષ ભાટિયા દ્વારા CID ક્રાઈમને આરોપીને પકડવા માટે રેડકોર્નર નોટિસ ઈસ્યૂ કરવામાં આવી હતી. CID ક્રાઈમના CI સેલને બાતમી મળી હતી કે વિનય શાહ નેપાળથી દિલ્હી આવવાનો છે. જેના આધારે CIDની ટીમે આરોપી વિનય શાહ દિલ્હી આવતા તેને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.