ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે. ત્યારે રાજકીય પક્ષો પોતાની પાર્ટીના ઉમેદવારોને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હાલ ચૂંટણીને પગલે ગુજરાત મુલાકાતે છે. ત્યારે મીડિયા સમક્ષ તેમણે વડાપ્રધાન મોદીને લઈને નિવેદન આપ્યુ હતુ. તેમણે ગરીબી અને ચા વેચવાની સ્થિતિને લઈને વડાપ્રધાન પર નિશાન સાધ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે ‘વડાપ્રધાન મોદી સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ લોકો હોંશિયાર છે’
વડનગરના રેલવે સ્ટેશને ચા વેચવાથી લઈને વડાપ્રધાનના પદ સુધી પહોંચનારા નરેન્દ્ર મોદી અવારનવાર તેમના સંઘર્ષ, ગરીબી અને ચા વેચવાની સ્થિતિનો ઉલ્લેખ કરતા હોય છે. ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સીધું જ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પીએમ મોદી હંમેશા પોતે ગરીબ હોવાનો દાવો કરે છે. પરંતુ હું તો ગરીબથી પણ વધુ ગરીબ છું. અમે તો અછૂત ગણાઈએ છીએ. કમ સે કમ તમારી ચા તો કોઈક પીવે છે, અમારી તો ચા પણ કોઈ નથી પીતું. પીએમ મોદી આવું બોલીને લોકોની સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરે છે, પરંતુ હવે લોકો હોંશિયાર થઈ ગયા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યાં. પક્ષપલટો કરી ભાજપમાં જોડાનાર નેતાઓને લઈ ખડગે એ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, બંધારણમાં ક્યાંય નથી લખ્યું કે તમે ચૂંટાયેલા પ્રતિનિધિને તોડી શકો. જે લોકો સામે ભાજપ સરકાર કેસ કરતી હતી તે તેવા વિપક્ષના દાગી નેતા ભાજપમાં આવતા જ કેવી રીતે સ્વચ્છ થઈ જાય છે. શું ભાજપ પાસે નેતાઓની છબી ચમકાવતું મશીન ભાજપ સરકારે ખરીદ્યું છે. સાથે જ કહ્યું કે ભાજપ સરકાર બંધારણનો ભંગ કરી રહી છે. ભાજપ સરકારમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે.
Published On - 5:07 pm, Mon, 28 November 22