ગુજરાતમાં વરસાદની અસર પર કેન્દ્રની (Central Government) સીધી નજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. ગુજરાતની સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ અંગે માહિતી આપી હતી. તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ વરસાદી વિસ્તારોની સ્થિતિનું સતત મોનીટરિંગ કરી રહ્યા છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં ઉભી થયેલી વિકટ સ્થિતિનો ક્યાસ મેળવવા મુખ્યપ્રધાન ગુરુવારે રાત્રે સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. મહત્વનું છે કે, નવસારી ખાતે કેન્દ્ર સરકારે વધુ 2 NDRFની ટીમ મોકલાવી છે. રાજ્યમાં NDRFની 19 ટીમ અને SDRFની 22 ટીમ રેસ્ક્યું માટે કાર્યરત છે. જરૂર જણાય ત્યા પોલીસને સ્ટેડ બાય રહેવા અમિત શાહનું સૂચન કરાયું છે. સરકાર અને સંગઠનને સતત રેસ્ક્યુ સહિતની કામગીરીમાં ધ્યાન આપવા કેન્દ્રની સૂચના આપી છે. માનવક્ષતિના કારણે કોઇ જાનહાનિ ન સર્જાય તે માટે ધ્યાન રાખવા વડાપ્રધાને સૂચના આપી છે.
નવસારીમાં મેઘરાજાનો ક્રોધ શાંત થતો નજરે પડી રહ્યો છે જોકે પણ હજુ સ્થિતિ સામાન્ય થઇ નથી. વરસાદના વિરામ છતાં ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા નથી. અંબિકા નદી કાંઠાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરક છે. અનેક લોકો પાણી વચ્ચે સ્થિતિ સામાન્ય બનવાનો ઇંતેજાર કરી રહ્યા છે. નવસારીમાં રાત્રી દરમિયાન પણ રેસ્ક્યું ઓપરેશનો હાથ ધરાયા હતા. ગુજરાત સરકારે ટ્વિટ કરી રેસ્ક્યુ ઓપરેશન ની માહિતી આપી હતી. તાલુકાના મેંઘર ગામેથી 50 લોકોને એનડીઆરએફ દ્વારા રેસ ક્યુ કરી સલામત બહાર કઢાયા હતા. જિલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત અંબિકા કાંઠાના વિસ્તારમાં હજુ પણ રેસ્કયું ઓપરેશન ચાલુ છે. ગણદેવી તાલુકાના અંબિકા કાંઠાના કલમઠા ગામના વંગરી ફળિયાના હજુ પણ 50 જેટલા લોકો 24 કલાકથી પાણીમાં ફસાયા છે. તંત્ર વહેલી તકે તેમની મદદ કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.