ભાજપમાં ટિકિટની ખેંચતાણ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નિવેદન આપ્યું હતું, અને કહ્યું કે, ટિકિટ માગવી એટલે જૂથવાદમાં હોય તેવું માનવાની જરૂર નથી. ભાજપના કાર્યકરો એકજુટ થઇને ચૂંટણી જીતશે, ટિકિટ માગવી દરેક કાર્યકર્તાનો અધિકાર છે. અને ટિકિટ માગનાર તમામ દાવેદારો ચૂંટણી જીતવા સક્ષમ છે, અને કોને કંઈ બેઠક પરથી ટિકિટ આપવી તે હાઈકમાન્ડ આખરી નિર્ણય કરશે.ૉ
જો કે સેન્સ પ્રક્રિયા દરમિયાન કેટલીક જગ્યાએ આંતરિક જૂથવાદ પણ સામે આવ્યો હતો. સૂત્રોનુ માનીએ તો વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ટિકિટ માગી છે. જેને લઈને વિવાદ વણસ્યો છે. ઋષિકેશ પટેલની દાવેદારીની ચર્ચાને પગલે ઊંઝા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીની ચર્ચાએ જોર પકડ્યુ છે. તમને જણાવી દઈએ કે, મહેસાણાની બેઠકો પર ઉમેદવાર નક્કી કરવા ભાજપની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે ભાજપ દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા ભાજપ કોર કમિટીના 15 સભ્યોની બેઠક મળી હતી. જેમાં નીતિન પટેલ સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા બાદ હવે દાવેદારોની યાદી તૈયાર થશે. જે બાદદાવેદારોની યાદી પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલાશે અને તમામ દાવેદારોના બાયોટેડા મોકલાશે. મહત્વનું છે કે, 7 બેઠક માટે 210 થી વધારે દાવેદારોના નામો સામે આવ્યા છે.