અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની સ્થિતિને ધ્યાને લઈ તંત્ર દ્વારા સાબરમતી નદી અને વાસણા બેરેજની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નદીની સપાટી નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાબરમતી નદીમાં પાણીની સપાટી હાલ 131 ફૂટ પર પહોંચી છે. નદીનું લેવલ 130 ફૂટ સુધી લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે વાસણા બેરેજના 25, 26 અને 27 નંબરના દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવતા તંત્ર દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત અને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા હોવાથી લોકોને નદીના પટ અને આસપાસના વિસ્તારોમાં ન જવા માટે પણ તકેદારી રાખવાની જરૂર છે.
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે સાબરમતી નદીની સપાટી પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. પાણીની આવક અને નદીના લેવલને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં વાસણા બેરેજના દરવાજા અંગે વધુ નિર્ણય લેવામાં આવી શકે છે. હાલ તંત્ર દ્વારા સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.