બોટાદ(Botad) ઝેરી દારૂકાંડ મામલે અમદાવાદની AMOS કંપનીના સંચાલકોને હાઈકોર્ટ (High court) તરફથી વચગાળાની રાહત મળી છે. હાઈકોર્ટે 12 સપ્ટેમ્બર સુધી AMOS કંપનીના સંચાલકોની ધરપકડ કરવા પર રોક લગાવી છે. ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી આરોપીઓની ધરપકડ ન કરવાનો હાઈકોર્ટે હુકમ કર્યો છે. બોટાદમાં જે ઝેરી દારૂકાંડની ઘટના બની હતી તેમા 43થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં અમદાવાદની AMOS કંપનીમાંથી મિથેનોલ કેમિકલ બોટાદ લવાયુ હોવાની વિગતો તપાસમાં ખૂલી હતી. ત્યારબાદ કંપનીના સંચાલકોની ધરપકડની તજવીજ પોલીસે હાથ ધરી હતી. જેમા કંપનીના સંચાલકોએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આ અરજીમાં પર આજે સુનાવણી કરવામાં આવી છે, જેમાં કોર્ટે કંપનીના સંચાલકોને વચગાળાની રાહત આપી છે.
આપને જણાવી દઈએ કે આ ઝેરી દારૂકાંડમાં મૃત્યુ પામેલા 43 લોકોના પરિજનોને ત્રણ લાખ અને ભોગ બનેલા ઈજાગ્રસ્તોને એક લાખ વળતર ચુકવવા કંપનીના સંચાલકોએ તૈયારી દર્શાવી છે. બીજી તરફ સવા બે કરોડ રૂપિયા જેટલુ વળતર ચુકવવા પણ તૈયારી દર્શાવી હતી. બીજી તરફ હાલ સરકારી તપાસ ચાલુ હોવાથી હાલ આગોતરા જામીન નામંજૂર કરવા જોઈએ તેવી પણ રજૂઆત કોર્ટમાં કરાઈ હતી. આ તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થયા બાદ હાલ હાઈકોર્ટે હાલ 12 સપ્ટેમ્બર સુધી ચુકાદો અનામત રાખ્યો છે અને ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી આરોપીઓની ધરપકડ ન કરવી તેવો પણ હુકમ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ