ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે. ત્યારે હજુ પણ પક્ષ પલટાની મૌસમ યથાવત જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા અમદાવાદના કોંગ્રેસ કાર્યાલાય ખાતે ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસ વિધિવત કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે. જયનારાયણ વ્યાસ સાથે અન્ય હોદ્દેદારોમાં પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ સમયે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી એક તરફ દાવો કરી રહ્યુ છે કે, તેમણે ડેમેજ કંટ્રોલ કરી લીધુ છે. જો કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રીઓ અથવા તો ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની માહિતી સામે આવી રહી હતી. ગઇકાલે પણ જય નારાયણ વ્યાસનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી રહ્યા હતા. પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં જયનારાયણ વ્યાસ હાજર રહ્યાં.
જયનારાયણ વ્યાસે સિદ્ધપુરથી કોંગ્રેસના ઉમેદવાર અને સીટિંગ ઘારાસભ્ય ચંદનજી ઠાકોરને સમર્થન જાહેર કર્યું હતુ. જે પછી આજે અમદાવાદના પાલડી ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં જયનારાયણ વ્યાસે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે તેમના સમર્થકો પણ કોંગ્રેસમાં સામેલ થયા છે.
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતુ. રાજીનામા સાથે તેમણે અનેક પ્રકારના આક્ષેપ ભાજપ પર કર્યા હતા. જેમાં તેમણે સી.આર. પાટીલ, પાટણના સિદ્ધપુરના સ્થાનિક ઉમેદવાર પર કેટલાક આક્ષેપો કર્યા હતા. આ સાથે તેમણે દાવો પણ કર્યો હતો કે જે સિદ્ધપુર વિધાનસભા બેઠક છે, જ્યાં તેઓ સારો એવો ધરોબો ધરાવે છે. જ્યાં મુસ્લિમ અને દલિત વોટર્સ સૌથી વધુ હોવા છતા તેઓ અનેક વાર આ બેઠક પરથી તેઓ જીતી ચુક્યા છે. એમની વ્યક્તિગત છબી તેમના વિસ્તારમાં સારી છે. ત્યારે હવે તેઓ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપી રહ્યા છે. ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને હરાવવા માટે હવે તેઓ મેદાનમાં ઉતર્યા છે.
(વિથ ઇનપુટ, નરેન્દ્ર રાઠોડ, અમદાવાદ)